રાજયના બજેટમાં ભાવનગરને નવા ત્રણ ફલાય ઓવરની ભેટ

1633

ગુજરાત સરકાર દ્વારા આજરોજ રજુ થયેલ બજેટમાં ભાવનગર વિસ્તાર માટેના અનેક વિકાસકાર્યોની જોગવાઇ કરવામાં આવી છે, ભાજપા પ્રદેશ અધ્યક્ષ અને ભાવનગરના જાગૃત ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી, મંત્રીશ્રી વિભાવરીબેન દવે, કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીય વગેરે દ્વારા ભાવનગર વિસ્તારની પ્રજાની સુખ-સુવિધામાં વધારો  થાય તે માટે વિવિધ પ્રકારના વિકાસકાર્યો માટેની રજુઆતો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં અવારનવાર કરવામાં આવેલ હતી. જે અનુસંધાને આજના બજેટમાં ભાવનગર માટે કરવામાં આવેલ વિકાસકાર્યોની જોગવાઇને શહેર ભા.જ.પા. એ આવકારી હતી.

ભાવનગરના વિકાસ માટેની અગત્યની જાહેરાતને આજે શહેર અધ્યક્ષ સનતભાઈ મોદી, સંસાદ ભારતીબેન શિયાળ, ધારાસભ્યઓ, મેયર માનભા મોરી, મહામંત્રી વનરાજસિંહ ગોહિલ, મહેશભાઈ રાવલ, રાજુભાઈ બાંભણીયા, સ્ટે.ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, નેતા પરેશભાઈ પંડ્યા સહિત આવકારેલ.

બજેટમાં મંજુર થયેલ કામો

  • ભાવનગર મહાનગર પાલિકા વિસ્તારમાં ત્રણ નવા ફ્લાયઓવર મ્યુનિ.કોર્પોરેશનની જરૂરિયાત મુજબ બનાવવામાં આવશે, જેની પુરેપુરી નાણાંકીય ફાળવણી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.
  • ભાવનગર વિસ્તારના મુખ્યમાર્ગો પર જ્યાં રેલ્વે ક્રોસીંગ આવતું હોય ત્યા ઓવરબ્રીજ અથવા અન્ડરબ્રીજ બનાવવામાં આવશે. જેથી લોકોના સમય અને પેટ્રોલ-ડીઝલની બચત સાથે ટ્રાફિકની સમસ્યાનો અંત આવશે.
  • ભાવનગરના દરીયાઇ વિસ્તારોના લોકોને મીઠું પાણી પુરુ પાડવા માટે ગુજરાતમાં ૮ ડીસેલીનેશન પ્લાન્ટ સ્થાપવાનું આયોજન, જે પૈકી એક ડીસેલીનેશન પ્લાન ભાવનગર વિસ્તારને ફાળવવામાં આવ્યુ.
  • ‘‘સૌની યોજના’’ ફેસ-૨ હેઠળ ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમને નર્મદાના નીરથી ભરવામાં આવશે. આ યોજનાનું લોકાર્પણ પ્રધાનમંત્ર નરેન્દ્રભાઇ મોદીના હસ્તે કરવામાં આવશે તે મુજબનું આયોજન કરવામાં આવી રહ્યુ છે.
  • નર્મદાના નીરથી શેત્રુંજી ડેમ ભરવાના આયોજનથી ભાવનગર જીલ્લાના હજારો ખેડુતોને બહુ મોટો લાભ થશે.
  • સૌની યોજનાના ત્રીજા તબક્કામાં રૂપિયા ૨,૬૧૫ કરોડના કામો મંજુર થયા છે, તે અંતર્ગત ભાવનગર શહેરના પીવાના પાણી માટે મહત્વના સ્ત્રોત બોર તળાવને સૌની યોજના હેઠળ સમાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને બજેટમાં રકમની ફાળવણી કરવામાં આવી છે
  • ગુજરાતની અનોખી ધરોહર એશીયાઇ સિંહોના સંરક્ષણ માટે પ્રોજેક્ટ લાયન અંતર્ગત ૯૭.૮૫ કરોડના ખર્ચે લાંબાગાળાનું આયોજન કરવામાં આવેલ છે જે અન્વયે અલાયદા શેત્રુંજી ડીવીઝનની રચના કરવાની જાહેરાત કરવામાં આવી છે.
Previous articleજાફરાબાદ-અમદાવાદ એસટી બસની રોહીસા નજીક ગુલાટ
Next articleભાવનગર રેન્જ આઈજીપી અશોક કુમારે ચાર્જ સંભાળ્યો