જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાના કિસ્સામાં ૧૦ વર્ષ સુધીની કેદની જોગવાઇ

753

જાહેર સંપત્તિને નુકશાન પહોંચાડવાના કિસ્સાઓમાં ભારત સરકારના ધી પ્રિવેન્શન ઓફ ડેમેજ ટુ પબ્લીક પ્રોપટી એકટ-૧૯૮૪ની જોગવાઇ મુજબ ૧૦ વર્ષસુધીની કેદની સજા અને દંડની જોગવાઇ છે. ગુજરાતમાં વર્ષ-૨૦૧૮ દરમિયાન આ કાયદા હેઠળ ૨૫ ગુના નોંધવામાં આવ્યા છે. રાજયમાં આ કાયદાનું અસરકારક અમલીકરણ થઇ રહ્યુ છે,એમ ગૃહ રાજય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ વિધાનસભા ગૃહમાં આ અંગે માહિતી આપી હતી.

ગુજરાતમાં જાહેર સંપત્તિને થતું નુકસાન અને તોડફોડ અટકાવવા બાબતના ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદીના બિન સરકારી વિધેયક પરની ચર્ચાનો જવાબ આપતા પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતુંકે, વિધેયકમાં રજૂ કરાયેલી જોગવાઇ કરતાં પણ વર્તમાનમાં અમલી કાયદામાં સજાની જોગવાઇ વધુ કડક છે. તેમણે જણાવ્યું હતું કે, જાહેર સંપત્તિને નુકશાન કરે તો પાંચ વર્ષ સુધીની કેદની સજા અને દંડની જોગવાઇ છે. પાણી, લાઇટ, અગત્યના ઓઇલ-પેટ્રોલ ઇન્સ્ટોલેશન,બિલ્ડીંગ, ગટર,ખાણ, ફેકટરી, જાહેર પરિવહન,ટેલિકોમ્યુનિકેશન્સના સ્ટ્રકચરને નુકશાન પહોંચાડવાના કિસ્સાઓમાં ઓછામાં ઓછી ૬ માસની અને સધુમાં વધુ પાંચ વર્ષ  સુધીની કેદની સજા અને દંડની જોગવાઇ છે.

જાહેર મિલકતને સળગાવી દેવાના અથવા વિસ્ફોટોથી નુકશાન પંહોચાડવાના કિસ્સામાં ઓછામાં ઓછામાં ઓછી ૧ વર્ષની અને વધુમાં વધુ ૧૦ વર્ષ સુધીની કેદની સજા અને દંડની જોગવાઇ કરવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, આ પ્રકારના ગુના કરતાં પકડાયેલા આરોપી કસ્ટડીમાં હોય તો પ્રોસીકયુશનને રજૂઆતની તક આપ્યા સિવાય તેના જામીનપણ મંજૂર કરી શકાતા નથી.પ્રદિપસિંહ જાડેજાએ વર્ષ-૨૦૧૮માં રાજયમાં આ કાયદા હેઠળ નોંધાયેલ ગુનાની વિગતો આપતાં કહ્યું હતું કે,અમદાવાદ શહેરમાં ૦૩,રાજકોટ શહેરમાં ૦૨,સુરત શહેર ૦૨,અમરેલી જિલ્લામાં ૦૫,ભાવનગર જિલ્લો ૦૪,બોટાદ જિલ્લો ૦૩,દાહોદ જિલ્લો ૦૧,દેવભૂમિ દ્વારકા ૦૧,જામનગર જિલ્લો ૦૧,જૂનાગઢ ૦૨, કચ્છ(પશ્ચિમ) ૦૧ એમ કુલ ૨૫ ગુના નોંધાયા છે. રાજયમાં હાલમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે. રાજય સરકાર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી અને શાંતિ અને સલામતીની જાળવણી માટે સંપૂર્ણપણે પ્રતિબધ્ધ છે.

Previous articleઆતંકીઓને જડબાતોડ જવાબ આપવાનો સમય પાકી ગયો છેઃ મોરારિ બાપુ
Next articlePM મોદી કાલે ૧૨ કરોડ ખેડૂતોના ખાતામાં ૨૫૦૦૦ કરોડ જમા કરાવશે