અબુધાબી ખાતે યોજાનાર સ્પેશ્યલ ઓલિમ્પિક વર્લ્ડ સમર ગેમ્સમાં ગુજરાતના ૧૪ ખેલાડીઓની પસંદગી

849

દિવ્યાંગ ખેલાડીઓ માટે યોજાતા સ્પેશ્યલ ઓલિમ્પિક સમર વર્લ્ડ ગેમ્સ ૨૦૧૯માં ગુજરાતના ૧૪ ખેલાડીઓની પસંદગી થઇ છે જે ગુજરાત માટે ગૌરવ સમાન છે.

રમત-ગમત અને સાંસ્કૃતિક મંત્રી  ઇશ્વરસિંહ પટેલે આજે ગાંધીનગર ખાતે પસંદગી પામનાર ૧૪ ખેલાડીઓને સફળતા પ્રાપ્ત કરીને ગુજરાતને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરવા શુભેચ્છાઓ પાઠવી હતી.

મંત્રી પટેલે કહ્યું કે, રાજ્યમાં રમત-ગમત પ્રવૃત્તિઓ વેગવાન બને અને રાજ્યનું યુવાધન વૈશ્વિક કક્ષાએ પોતાની ઓળખ ઉભી કરે તે માટે તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૧૦થી ખેલ મહાકુંભ યોજવાની રાજ્યમાં શરૂઆત કરી હતી તથા શારિરીક રીતે પૂર્ણતઃ સક્ષમ ના હોય તેવા ખેલાડીઓને પણ અલગ અલગ ચાર જૂથમાં વહેંચીને તેઓને પણ કૌશલ્ય બતાવવાની તક પૂરી પાડવા માટે રાજ્ય સરકારે વર્ષ ૨૦૧૩થી દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશ્યલ ખેલ મહાકુંભનું આયોજન કર્યુ હતું જેના પરિણામે આ સફળતા ગુજરાતના ખેલાડીઓને મળી છે જે સમગ્ર રાજ્ય માટે ગૌરવપ્રદ છે.

રમત-ગમત સચિવ  ડી.ડી.કાપડિયાએ જણાવ્યું હતું કે, દિવ્યાંગ રમતવીરો માટે યોજાતો સ્પેશ્યલ ઓલિમ્પિક વર્લ્ડ સમર ગેમ્સ ૨૦૧૯ (માનસિક ક્ષતિગ્રસ્ત ખેલાડીઓ માટે) આગામી તા.૧૪ થી ૨૨ માર્ચ ૨૦૧૯ દરમિયાન અબુધાબી ખાતે યોજાશે. જેમાં ૧૯૨ દેશના ૭૫૦૦ થી વધારે એથલેટ્‌સ ભાગ લેનાર છે જે પૈકી ભારતની ટીમમાં ગુજરાતના ૧૪ ખેલાડીઓ ભારતનું નેતૃત્વ કરશે. તેમણે કહ્યું કે, દિવ્યાંગ રમતવીરો માટેના સ્પેશ્યલ મહાકુંભમાં મૂકબધિર, પ્રજ્ઞાચક્ષુ, માનસિક ક્ષતિગ્રસ્ત અને શારિરીક ક્ષતિગ્રસ્ત ખેલાડીઓ ભાગ લઇ શક્તા હોય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, લોસ એન્જલસ ખાતે યોજાયેલ સ્પેશ્યલ ઓલિમ્પિક સમર ગેમ્સ ૨૦૧૫માં ગુજરાતે ૨૫ મેડલ્સ મેળવ્યા હતા જેમાં ૪ ગોલ્ડ, ૧૧ સિલ્વર, ૧૦ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. તેમજ પેરા એશિયન ગેમ્સ ૨૦૧૮માં કુ.પારૂલ પરમારે બેડમીન્ટન સિંગલ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. તેમને રૂા.૩૦ લાખનો ખેલ પ્રતિભા પુરસ્કાર, કુ.ભાવીના પટેલ અને કુ. સોનલ પટેલે ટેબલ ટેનિસ વુમન ડબલ્સમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો તે બંનેને પણ રૂા.૧૦-૧૦ લાખના ખેલ પ્રતિભા પુરસ્કાર આપવામાં આવ્યા છે.

Previous articleગાંધીનગર જિલ્લા પંચાયતનું શનિવારે બજેટ પસાર કરાશે
Next articleકાપડ વેપારીનું કારસ્તાન… એર સ્ટ્રાકઈને સાડી પર ચિતરી