ગાંધીનગરમાં સેક્ટર-૨૨ સ્થિત પંચદેવના મંદિર પાસે શિવરાત્રીના મહાપર્વે ભવ્ય મેળો ભરાય છે. સોમવારે ગાંધીનગરના ૧ થી ૩૦ સેક્ટર અને આજુબાજુ ના ગામડાઓમાંથી હજારોની સંખ્યામાં લોકોને મેળાનો લ્હાવો લીધો હતો.
સામાન્ય રીતે મેળો જોવા માટે આખો દિવસ મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા પરંતુ સાંજના સમયે તે હૈયે-હૈયુ દળાય તેવી ભીડ જોવા મળી હતી. તો ગઠીયાઓ પણ આવી ભીડનો લાભ ઉઠાવવાનું ભૂલ્યા ન હતા. જેમાં ૧૫થી વધુ પર્સ અને પાંચ જેટલા મોબાઈલની ચોરીની બુમો ઉઠી હતી. જોકે, સત્તાવાર આંકડો પોલીસ ચોપડે કેસો નોંધાયા બાદ જ સત્તાવાર આંકડો બહાર આવશે.
મેળામાં ફાળવવામાં આવેલા અંદાજે ૧૫૦થી વધુ સ્ટોલ સિવાય પણ મોટી સંખ્યામાં નાના-નાના વેપારીઓ છુટ્ટા છવાયા વેપાર કરવા બેસ્યા હતા. જેમાં ઘણીવાર લોકોને અગવડ પડતા પોલીસ દ્વારા તેમને ખસેડવાની ફરજ પડતી હતી. જેના કારણે મેળામાં ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
વિકસતા જતા ગાંધીનગરમાં હવે વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે. ત્યારે મેળામાં પણ હજારોની સંખ્યામાં આવતા લોકોના વાહનોને પગલે દિવસ દરમિયાન ઠેર-ઠેર ટ્રાફિકની સમસ્યા જોવા મળી હતી. જેમાં પંચદેવ આવવાના તમામ રસ્તા અને વચ્ચે આવતા મેદાનો ર્પાકિંગથી ફૂલ થઈ ગયા હતા. જેના કારણે લોકોને આવવા જવામા પણ ભારે હાલાકી ભોગવવી પડી હતી.અને લોકો મુસીબતમાં મૂકાઈ ગયા હતા.