‘હાર્દિકે વિશ્વાસઘાત કર્યો, પાટીદાર સમાજ જ તેને ચૂંટણીમાં હરાવશે’ઃ રૂપાણી

1188

અમદાવાદમાં કોંગ્રેસની સીડબલ્યુસીની બેઠક થઇ. આ બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મનમોહન સિહ સહિતના કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ ઉપસ્થિત હતા ત્યારે હાર્દિક પટેલ મંગળવારે કોંગ્રેસમાં જોડાયા. આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, હાર્દિક કોંગ્રેસનું રમકડું છે. આજે તે ખુલ્લો પડી ગયો છે.મીડિયા સાથે વાતચીત કરતાં સીએમ રૂપાણીએ કહ્યું કે, અમે તો વર્ષોથી કહેતાં આવ્યા છે કે, હાર્દિક પટેલ કોંગ્રેસનું જ રમકડું છે. તે કોંગ્રેસ માટે જ આંદોલન ચલાવતો હતો. તેને સમાજની કંઇ પડી જ નહોતી. હાર્દિકે વિશ્વાસઘાત કર્યો છે. પાટીદાર સમાજ જ તેને આ ચૂંટણીમાં હરાવશે.તેમણે કહ્યું કે, હાર્દિક અનેકવાર મીડિયા સમક્ષ કહી ચૂક્યો છે કે, તે કોંગ્રેસમાં જોડાવવાનો નથી. મારા સમાજને અનામત મળવી જોઇએ. તેણે માત્ર પ્રજા સાથે છેતરપિંડી કરી છે. તે કોંગ્રેસમાં જોડાવવા જઇ રહ્યો છે ત્યારે તે ખુલ્લો પડી ગયો છે. તેની વાત હવે પ્રજા સામે આવી ગઇ છે.ઉપરાંત વિજય રૂપાણીએ કોંગ્રેસની મળી રહેલી સીડબ્લ્યુસીની બેઠક પર પણ પ્રહારો કર્યા હતા.

તેમણે કહ્યું કે, કોંગ્રેસની આ બેઠકથી કોઇ ફેર પડવાનો નથી. પરિવારવાદમાં સંપડાયેલી કોંગ્રેસ આમાંથી કંઇ કાઢી શકે તેમ નથી. ગુજરાતની ૨૬ બેઠકો ભાજપને જ મળવાની છે. કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાઇ રહ્યાં છે. આ બતાવે છે કે કોંગ્રેસ નેતા, નીતિ અને નિયતથી ખૂબ દૂર છે.

રૂપાણીએ કહ્યું કે, કોંગ્રેસે સ્વીકાર્યું છે કે ગુજરાત ભાજપનું ગઢ છે. નરેન્દ્ર મોદીનું હોમ સ્ટેટ છે. બેઠક અહીં રાખવાનું આયોજન બતાવે છે કે, ગુજરાતની પ્રજાને ભાજપ પર વિશ્વાસ છે અને પીએમ મોદી પ્રત્યે માન છે. આ અમારી જીતની શરૂઆત છે.

Previous articleસરકારની ખરાબ નીતિઓના કારણે અર્થવ્યવસ્થા નબળી પડીઃ મનમોહનસિંહ
Next articleહાર્દિકે પાટીદારોને અંધારામાં રાખી સમાજ સાથે દગો કર્યોઃ નીતિન પટેલ