એરસ્ટ્રાઇકમાં ૩૦૦ આતંકી માર્યા તેના પુરાવા આપે સરકારઃ પિત્રોડા

532

ચૂંટણી માહોલમાં નેતાઓના વિવાદાસ્પદ નિવેદન પણ ચર્ચાનો વિષય બની રહે છે. જેમ કે ગઇકાલે સપા નેતા રામગોપાલ યાદવે પુલવામા હુમલાને ભાજપનું ષડયંત્ર ગણાવ્યું હતું. ત્યારબાદ કોંગ્રેસના મોટા નેતા અને ગાંધી પરિવારના નજીક મનાતા સામ પિત્રોડા એ પણ એક મોટું નિવેદન આપી દીધું છે. પિત્રોડા એ કહ્યું કે પુલવામા હુમલા માટે આખા પાકિસ્તાનને દોષિત ગણાવું યોગ્ય નથી. તેમણે એમ પણ કહ્યું કે મુંબઇ હુમલા માટે આખું પાકિસ્તાન જવાબદાર નથી. પિત્રોડા એ એર સ્ટ્રાઇકમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા અંગે પણ પૂછયું છે.તેમણે કહ્યું કે જો એરફોર્સે ૩૦૦ લોકોને માર્યા તો ઠીક છે. શું તેના તથ્ય અને પુરાવા આપી શકો છો? પિત્રોડાએ કહ્યું કે ભારતના લોકોને જાણવાનો અધિકાર છે કે એરફોર્સ એ પાકિસ્તાનમાં કેટલી તબાહી મચાવી અને તેનાથી શું ફરક પડ્યો. તેમણે કહ્યું કે મેં ન્યૂયોર્ક ટાઇમ્સમાં રિપોર્ટ વાંચ્યો આથી મને વધુ જાણવાની ઇચ્છા છે. શું ખરેખર હુમલો થયો? શું ખરેખર ૩૦૦ લોકો મર્યા? એક નાગરિક હોવાના નાતે મને જાણવાનો અધિકાર છે અને મારી ડ્યુટી છે કે હું પ્રશ્ન કરું. તેનો મતલબ એ નથી કે હું રાષ્ટ્રવાદી નથી કે હું બીજાનો પક્ષ લઇ રહ્યો છું. જો તમે કહો છો કે ૩૦૦ લોકો મર્યા છે તો વૈશ્વિક મીડિયા એમ કેમ કહી રહી છે કે કોઇ મર્યું નથી. મને એક નાગરિક તરીકે આ ખરાબ લાગે છે. પિત્રોડા ૨૦૧૯ ચૂંટણી માટે કોંગ્રેસના મૈનિફેસ્ટો કમિટીના સભ્ય છે. તેમણે કહ્યું કે હું એક ગાંધીવાદી છું. હું વાતચીતમાં વિશ્વાસ કરું છું અને મારું માનવું છે કે તમામે વાત કરવી જોઇએ. માત્ર પાકિસ્તાન કેમ આપણે આખી દુનિયા સાથે વાત કરવી જોઇએ. પિત્રોડા એ કહ્યું કે જો કોઇ આવીને હુમલો કરે છે તો તેના દેશના દરેક નાગરિક દોષિત નથી. તેમણે કહ્યું કે મને પુલવામા એટેકની વધુ ખબર નથી પરંતુ આવું તો હંમેશા થાય છે. મુંબઇમાં હુમવલા થયા તો અમે રિએકટ કરી શકતા હતા અને એરફોર્સને મોકલી શકતા હતા પરંતુ આ દુનિયાની સામે રજૂ કરવાની સારી રીત નથી. જો કોઇ દેશમાંથી ૮ લોકો આવી હુમલો કરે છે તો આખા દેશને દોષિત કહેવો યોગ્ય નથી.

પિત્રોડા એ કહ્યું આપણે વધુ ભાવુક થવાની જરૂર નથી કારણ કે ડેટા નિષ્પક્ષ હોય છે. આથી જો કોઇ આવીને કહે છે કે ૩૦૦ લોકો મારી દીધા અને મીડિયા કહે છે કે કોઇ નથી મર્યું તો હું શું માનું. સામ પિત્રોડા એ કહ્યું કે આ વિચાર તેમના પોતાના છે અને કોંગ્રેસ પાર્ટી સાથે તેની કોઇ લેવા-દેવા નથી.

Previous articleકાશ્મીરમાં આતંકનો સફાયો ૨૪ કલાકમાં છ આતંકી ઠાર
Next articleઅમર શહીદ વીર ભગતસિંહ