ગાંધીનગરમાં દેશની પ્રથમ ફૂડ રીસર્ચ લેબોરેટરીનો સી.એમ.ના હસ્તે પ્રારંભ

920
gandhi5-1-2018-4.jpg

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં જાહેર વિતરણ વ્યવસ્થા અન્વયે વિતરીત થતા અનાજ અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા-કવોલિટી ઉચ્ચકક્ષાની મળી રહે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનું નવતર સોપાન ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યું છે.  મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લીમીટેડ અને ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીના સહયોગથી ગાંધીનગરમાં રૂ.૧ કરોડના ખર્ચે નિર્માણ પામેલી અદ્યતન ફૂડ રિસર્ચ લેબોરેટરીનો કાર્યારંભ કરાવ્યો હતો. 
વિજયભાઇ રૂપાણીએ આ ફૂડ રિસર્ચ લેબોરેટરી સ્ટેટ ઓફ ધ આર્ટ કક્ષાની બની રહેશે તેવો વિશ્વાસ વ્યકત કરતાં કહ્યું કે દેશના અન્ય રાજ્યો તેમજ વિદેશોમાંથી પણ આ ફૂડ રિસર્ચ લેબોરેટરીના નવતર પ્રયોગ પ્રત્યે જિજ્ઞાસા જાગી છે. 
મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્યમાં ૧૭ હજાર ઉપરાંત વાજબી ભાવની સસ્તા અનાજની દુકાનો પરથી રાહત દરે ખાદ્યાન્ન, તેલ, કઠોળ મેળવતા ૪.૮૪ કરોડ લાભાર્થીઓ તેમજ ૪૪ હજાર મધ્યાન્હ ભોજન કેન્દ્રોના ૪૯ લાખ બાળકો અને પ૪ હજાર આંગણવાડીના ૬પ લાખ જેટલાં ભુલકાંઓને શુધ્ધ-ગુણવત્તાયુકત અનાજ-કઠોળ-તેલ વગેરે મળી રહે તે માટે કવોલિટીમાં કોઇ જ કોમ્પ્રોમાઇઝ ન થાય અને ફૂડ રિસર્ચ લેબોરેટરીમાં ટેસ્ટ થયેલ પ્રમાણિત પુરવઠો જ મળે તેવો સરકારનો ધ્યેય રહ્યો છે. 
રૂપાણીએ જરૂરતમંદોને અપાતા ખાદ્યાન્નની ગુણવત્તામાં ભેળસેળ-હલકી કક્ષા સામે ઝિરો ટોલરન્સ માટે આ ફૂડ રિસર્ચ લેબોરેટરી એક સક્ષમ માધ્યમ બનશે તેવો દ્રઢ વિશ્વાસ દર્શાવ્યો હતો. લેબોરેટરીના વિવિધ વિભાગોની પ્રત્યક્ષ મુલાકાત લઇ રજેરજની વિગતો મેળવી હતી. ગુજરાત નાગરિક પુરવઠા નિગમ દ્વારા અનાજની ગુણવત્તા હાઇકવોલિટીની મળી રહે તેની ચોકસાઇ માટે ડાયરેકટરેટ ઓફ ફોરેન્સીક સાયન્સ સાથે મળીને આ સ્ટેટ ઓફ ધ આર્ટ ફૂડ રિસર્ચ લેબોરેટરી શરૂ કરવા માટેના ૧૦ વર્ષના એમઓયુ થયા છે.

Previous article અમદાવાદમાં દલિત સમાજના દેખાવો…
Next article જે.એમ.ચૌધરી કન્યા વિધાલય ખાતે જિલ્લા કક્ષાની નેશનલ ઇલેકશન કવીઝ સ્પર્ધા- ૨૦૧૭ યોજાઇ