સર્જિકલ સ્ટ્રાઇક, હવાઈ હુમલાનું સાહસ ચોકીદારે જ કર્યું છે : મોદી

474

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી માટે રણશિંગુ ફુંકાી ચુક્યું છે ત્યારે ઉત્તરપ્રદેશના મેરઠથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. મોીએ ઉત્તરાખંડ અને જમ્મુમાં પણ આક્રમક રેલી યોજી હતી. વડાપ્રધાને પોતાના ભાષણ દરમિયાન એકબાજુ પોતાની સરકારની પાંચ વર્ષની સિદ્ધિઓની વાત કરી હતી. સાથે સાથે સર્જિકલ સ્ટ્રાઇક, હવાઈ હુમલાનો ઉલ્લેખ કરીને સુરક્ષાનો મુદ્દો જોરદારરીતે ઉઠાવ્યો હતો. મોદીએ કહ્યું હતું કે, એકબાજુ મજબૂત ચોકીદાર છે જ્યારે બીજી બાજુ મહામિલાવટી લોકોની ટીમ છે જેમાં દાગદાર લોકોની ભરમાર રહેલી છે. મોદીએ પોતાની સરકારની વાત કરતા કહ્યું હતું કે, સર્જિકલ સ્ટ્રાઇકનું સાહસ પણ ચોકીદારની સરકારે કરીને બતાવ્યું છે. વન રેંક વન પેન્શનનું વચન પણ ચોકીદારે અદા કર્યું છે. આ મામલો ૪૦ વર્ષથી અટવાયેલો હતો. તેમણે કહ્યું હતું કે, એકબાજુ નવા ભારતના સંસ્કાર છે. બીજી તરફ વંશવાદ અને ભ્રષ્ટાચાર છે. એકબાજુ દમદાર ચોકીદાર છે તો બીજી બાજુ ભ્રષ્ટ લોકોની ટીમ દેખાઈ રહી છે. તેમણે પ્રચંડ રેલીમાં પોતાના આક્રમક અંદાજમાં કહ્યું હતું કે પોતાના કામોના હિસાબ તેઓ ચોક્કસપણે આપશે પરંતુ સાથે સાથે બીજા લોકોના હિસાબ પણ લેશે.

આ બંને કામ સાથે સાથે ચાલશે. તે જ વખતે હિસાબ બરોબર થશે. મોદીએ કહ્યું હતું કે, તેઓ ચોકીદાર છે જેથી કોની સામે અન્યાય થશે નહીં. તમામનો હિસાબ થશે. એક એક કરીને હિસાબ લેવામાં આવશે. મોદીએ સંબોધનમાં કહ્યું હતું કે, દેશમાં પ્રથમ વખત આવી નિર્ણાયક સરકાર લોકો જોઈ રહ્યા છે જે પોતાની સંકલ્પ શક્તિને સિદ્ધ કરવા માટે સતત કટિબદ્ધ છે. જમીન હોય કે આસમાન હોય કે પછી અંતરિક્ષ હોય. સર્જિકલ સ્ટ્રાઇકનું સાહસ પણ આ ચોકીદારની સરકારે જ કરી બતાવ્યું છે. અંતરિક્ષમાં તમામ મોટી સિદ્ધિઓ પણ આ સરકારે જ કરી બતાવ્યું છે. મોદીએ કહ્યું હતું કે, આજે સ્થિતિ એવી થઇ છે કે, જે લોકો થોડાક દિવસ પહેલા ચોકીદારને પડકાર ફેંકતા હતા તે લોકો હવે રડી રહ્યા છે. મોદીએ પાકિસ્તાનમાં તેના ઘરમાં ઘુસીને આતંકવાદીઓના અડ્ડા કેમ નષ્ટ કર્યા છે. આતંકવાદીઓને કેમ મારવામાં આવ્યા છે તેવા પ્રશ્ન વિરોધીઓ કરી રહ્યા છે. મહામિલાવટીઓના શાસનમાં પુત્રીઓને ઇન્સાફ મળતો ન હતો. તેમની સરકારમાં ગુંડાઓ અને સમાજ વિરોધી તત્વો પણ નિયંત્રિત થયેલા હતા. આ પ્રકારના લોકોની સરકારમાં દેશ ક્યારેય સુરક્ષિત રહી શકે નહીં. દેશને પુરાવા જોઇએ છે કે પછી સપૂત જોઇએ છે તેવો પ્રશ્ન લોકોને કરતા કહ્યું હતું કે, જે લોકો ભારતીય જવાનોના સાહસના પુરાવા માંગી રહ્યા છે તે લોકો સપૂતોને લલકારી રહ્યા છે. મોદીએ સર્જિકલ સ્ટ્રાઇકનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, ૨૬મી ફેબ્રુઆરીના દિવસે મારી સેનાએ હવાઈ હુમલા કર્યા હતા. આ હવાઈ હુમલા બાદ આતંકવાદીઓના આકાઓ ફફડી ઉઠ્યા છે. આ હવાઈ હુમલામાં જો કોઇપણ ભુલ રહી હોત તો વિરોધીઓ તેમના રાજીનામાની માંગ કરવા ઝડપથી આગળ આવ્યા હોત. જ્યારે દિલ્હીમાં મહામિલાવટી લોકોની સરકાર હતી ત્યારે દેશના જુદા જુદા ભાગોમાં બોંબ બ્લાસ્ટ થતાં હતા. આ લોકો આતંકવાદીઓની જાતિઓ અને ઓળખના આધાર પર સજા આપવા અંગે નિર્ણય કરતા હતા. જે લોકોને થિયેટર અંગે પણ માહિતી નથી તેવા બુદ્ધિજીવી લોકો ઉપર તેમને આજે આશ્ચર્ય થાય છે. પોતાના સંબોધનમાં યુપીએના ગાળાની નબળી સ્થિતિનો ઉલ્લેખ મોદીએ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં બે યુવાનોના ખેલને જોઇ ચુક્યા છે. હવે અખિલેશ અને મમતા એક સાથે આવી રહ્યા છે. સામાન્ય વર્ગના ગરીબોને ૧૦ ટકા અનામત આપવાનો નિર્ણય પણ તેમની સરકારે જ કર્યો છે. જમીન હોય કે આકાશ હોય કે પછી અંતરિક સર્જિકલ સ્ટ્રાઇક હોય. આ તમામ સાહસ ચોકીદારની સરકારે કરીને બતાવ્યું છે. ૨૦૧૪ પહેલા મહામિલાવટી લોકોની સરકાર આતંકવાદીઓને બચાવતી હતી. નવા ભારત હેઠળ ગૌરવશાળી દેશ બનશે. એક શક્તિશાળી દેશ બનશે જેની એક અલગ ઓળખ બનશે. સુરક્ષા, સમૃદ્ધિ અને સંસ્કાર રહેશે. મોદીએ આજે પોતાના સંબોધનમાં દાવા સાથે કહ્યું હતું કે, દેશના લોકો મન બનાવી ચુક્યા છે. મોદી સરકાર ફરી એકવાર બનવા જઈ રહી છે. આ ચૂંટણી મજબૂત દેશના સપના સાથે જોડાયેલી છે. ૨૦૧૯માં જનાદેશને જોવા માટે ઇચ્છુક લોકો મેરઠમાં આવેલા લોકોને જોઇને અંદાજ લગાવી શકે છે. અગાઉની સરકારોના ગાળામાં કઇ પ્રકારે નબળી નીતિઓ આગળ વધી હતી અને છેલ્લા પાંચ વર્ષના ગાળામાં સરકારે કઇ રીતે નિર્ણયો કર્યા છે તે લોકો સરળતાથી જોઈ શે છે. પાંચ વર્ષ પહેલા લોકોના આશીર્વાદ લીધા ત્યારે લોકોએ ભરપુર પ્રેમ આપ્યો હતો. તે વખતે તેઓએ ખાતરી આપી હતી કે, આ પ્રેમને વ્યાજ સાથે ચુકવશે અને આ કામ કરી બતાવ્યું છે. મોદીએ પોતાના સંબોધન વેળા ચૌધરી ચરમસિંહને પણ યાદ કર્યા હતા.  રાહુલ ઉપર પરોક્ષ પ્રહાર કરતા મોદીએ કહ્યું હતું કે, કેટલાક લોકો એ-સેટની વાત પર ગુંચવણમાં આવી ગયા હતા. આ લોકો એ-સેટને થિયેટરવાળા સેટ તરીકે સમજીને આગળ વધી રહ્યા હતા. આ પ્રકારના લોકોની બુદ્ધિ શક્તિ ઉપર તેઓ આશ્ચર્યચકિત છે.

Previous article૧૬મી લોકસભામાં ૨૪૦ બિલ પસાર થયા, ૨૩ બિલ લટક્યાઃ એડીઆર રિપોર્ટ
Next articleમોદી ૫ વર્ષથી લોકોને મૂર્ખ બનાવી રહ્યા છે : ઉર્મિલા