ઘણી સ્કૂલમાં ઝીરો બેઠક તો અનેક વેબમાંથી ગાયબ રહી

1451

રાઇટ ટુ એજયુકેશન હેઠળ પ્રવેશ પ્રક્રિયા અંગેની જાહેરહિતની રિટ અરજીમાં અરજદારપક્ષ તરફથી આજે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ મહત્વનું સોગંદનામું રજૂ કરી ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, આરટીઇ એકટ હેઠળ પ્રવેશમાં ગંભીર ગોટાળા સામે આવ્યા છે., જેમાં આરટીઇ હેઠળ ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો ના પડે તે હેતુથી ઘણી સ્કૂલોમાં ઝીરો બેઠક બતાવી છે, તો ઘણી સ્કૂલો તો વેબ પોર્ટલ પરથી જ ગાયબ થઇ ગયેલી જણાય છે. એટલું જ નહી, સરકાર સહિતના સત્તાવાળાઓએ આ કેસમાં જરૂરી માહિતી રજૂ કરવા અગાઉ કોર્ટ પાસેથી સમય માંગ્યો હતો પરંતુ આજદિન સુધી સરકાર સહિતના સત્તાવાળાઓ તરફથી આરટીઇ પ્રવેશને લઇ કોઇપણ પ્રકારની નક્કર માહિતી કે વિગતો કોર્ટના રેકર્ડ પર રજૂ કરી શકાઇ નથી. હાઇકોર્ટે અરજદારપક્ષના આ સોગંદનામાને રેકર્ડ પર લઇ કેસની વધુ સુનાવણી તા.૧૮મી એપ્રિલે મુકરર કરી હતી. અરજદારપક્ષ તરફથી સોંગદનામામાં જણાવાયું હતું કે, અરજદારે અગાઉ ડિસેમ્બર-૨૦૧૮માં આરટીઇ એકટની કલમ-૧૨(૧)(સી) હેઠળ પ્રવેશ કાર્યવાહી હાથ ધરવા અને તેમાં હાઇકોર્ટ દ્વારા અગાઉની પીઆઇએલ નં-૧૬૨/૨૦૧૮ અને પીઆઇએલ નં-૧૦૫/૨૦૧૮માં જારી કરાયેલા નિર્દેશો મુજબ કાર્યવાહી કરવા અનુરોધ કરાયો હતો અને તે જ પ્રકારનું રિમાઇન્ડર ફેબ્રુઆરી-૨૦૧૯માં પણ સત્તાવાળાઓને કરાયું હતુ પરંતુ આ મામલે કંઇ જ થયું નથી.  જેથી અરજદારે શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦ના વર્ષ માટે આરટીઇ પ્રવેશનો ટિડેઇલ્ડ પ્રોગ્રામ જારી કરવા, તેમાં જે સ્કૂલો સમાવિષ્ટ હોય તેની યાદી અને વિગતવાર માહિતી જારી કરવા, માઇનોરીટી સ્ટેટસ ધરાવતી સ્કૂલોની યાદી અને જરૂરી નિયમો-માર્ગદર્શિકા ઘડવા સહિતની દાદ માંગતી હાલની જાહેરહિતની રિટ અરજી દાખલ કરવી પડી છે. સરકાર સહિતના સત્તાવાળાઓએ આ કેસમાં જરૂરી માહિતી રજૂ કરવા અગાઉ કોર્ટ પાસેથી સમય માંગ્યો હતો પરંતુ આજદિન સુધી સરકાર સહિતના સત્તાવાળાઓ તરફથી આરટીઇ પ્રવેશને લઇ કોઇપણ પ્રકારની નક્કર માહિતી કે વિગતો કોર્ટના રેકર્ડ પર રજૂ કરાઇ ન હતી અને ઉલ્ટાનું તા.૫-૪-૨૦૧૯થી કોઇપણ બહોળી પ્રસિદ્ધિ કર્યા વિના તેમ જ વેબપોર્ટલ પર જરૂરી માહિતી કે વિગતો મૂકયા વિના બારોબાર જ આરટીઇ હેઠળની પ્રવેશ કાર્યવાહી શરૂ કરી દીધી હતી. પરંતુ હાઇકોર્ટે કેટલીક જે મહત્વની વાતો સામે આવી છે, તેને લઇ તાત્કાલિક પગલાં લેવા જરૂરી હોઇ તેની નોંધ લેવી જરૂરી છે. સત્તાવાળાઓએ એડમીશન ફોર્મ બરવાની છેલ્લી તારીખ તા.૧૫ એપ્રિલ નિયત કરી છે, જે બિલકુલ યોગ્ય નથી.

સત્તવાળાઓએ આરટીઇ હેઠળના બીજા અને ત્રીજા તબક્કાના પ્રવેશની તારીખો જાહેર કરી નથી., આરટીઇ વેબ પોર્ટલ પર ધોરણ-૧ના કેટલા ડિવીઝન છે, તેના નંબરો કોઇપણ સ્કૂલના જારી કરાયા નથી. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે, વેબપોર્ટલ પરથી ઘણી સ્કૂલો ગાયબ છે કે જે હિડન(છૂપી) બતાવે છે. તો, કેટલીક શાળાઓ તેમના ત્યાં આરટીઇ હેઠળ ઝીરો બેઠક બતાવે છે.એટલે કે, આવી સ્કૂલો આડકતરી કે તાર્કિક રીતે આરટીઇ પ્રવેશમાં ભાગ લેતી નથી તેવું ફલિત થાય છે. આ સંજોગોમાં હાઇકોર્ટે તમામ સ્કૂલો વેબપોર્ટલ પર ઉપલબ્ધ થાય, પ્રથમ તબક્કાનો પ્રવેશ રાઉન્ડ તા.૨૫મી એપ્રિલની આસપાસ પૂર્ણ કરાય અને ત્યારબાદ બીજા અને તબક્કાની પ્રવેશ કાર્યવાહી હાથ ધરાય, હાઇકોર્ટે અગાઉ જારી કરેલા નિર્દેશો અને માર્ગદર્શિકાઓનું અસરકારક અને ચુસ્તપણે પાલન થાય તે માટે હાઇકોર્ટે જરૂરી આદેશો જારી કરવા જોઇએ.

Previous articleગુજરાતમાં ૪૫૨ ઉમેદવારો ભાગ્ય અજમાવવા તૈયાર છે
Next articleસંકલ્પપત્ર એક ભારત શ્રેષ્ઠ ભારત નિર્માણ માટે રોડમેપ