શ્રીલંકાએ જાહેર કરી વર્લ્ડ કપ માટેની ટીમ, કરુણારત્ને સુકાનપદ સંભાળશે

567

ઇંગ્લેન્ડ અને વેલ્સમાં થનારા વન ડે ક્રિકેટ વિશ્વ કપ માટે ધીરે-ધીરે એક પછી એક ટીમો પોતાની ટીમની જાહેરાત કરી રહી છે. ભારતીય ટીમની જાહેરાત બાદ હવે શ્રીલંકાએ પણ વિશ્વ કપ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. શ્રીલંકાની ટીમે એક ચોંકાવનારો બદલાવ પણ કર્યો છે.

૩૦ વર્ષનાં દિમુથ કરૂણારત્નેને વિશ્વ કપ માટે ટીમની કેપ્ટનશિપ સોંપવામાં આવી છે. તેણે શ્રીલંકા તરફથી અત્યાર સુધી માત્ર ૧૭ વન ડે જ રમી છે, જેમાં તેણે ૧૫.૮૩ની સરેરાશથી ફક્ત ૧૯૦ રન બનાવ્યા છે. જો કે ટીમમાં કોઇને પણ વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો નથી.

ઇંગ્લેન્ડ વિશ્વ કપ માટે જનારી ટીમમાં અકિલા ધનંજયાને તક મળી નથી. સાથે જ વિકેટકીપર બેટ્‌સમેન નિરોશન ડિકવેલા, ઉપુલ થરંગા અને ઝડપી બૉલર લક્ષણ સંદકનને પણ વન ડે ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે.

ડિકવેલાની ગેરહાજરીમાં વિકેટીકીપરની જવાબદારી કુસલ પરેરા સંભાળશે. ઝડપી બૉલિંગની ધુરા સીનિયર બૉલર લસિથ મલિંગા સંભાળશે. આ ઉપરાંત ઓશડા ફર્નાન્ડો, કસુન રજિથા, વાનિન્દુ હસરંગા અને એન્જેલો પરેરા પણ ટીમ સાથે ઇંગ્લેન્ડ જશે. આ પહેલા તે ટેસ્ટ ટીમનો કેપ્ટન હતો, જ્યારે વન ડેની કેપ્ટનશિપ લસિથ મલિંગા પાસે હતી.

ટીમઃ દિમુથ કરૂણારત્ને (કેપ્ટન), અવિષ્કા ફર્નાન્ડો, લાહિરૂ થિરિમાને, કુસલ પરેરા, કુસલ મેન્ડિસ, એન્જેલો મેથ્યૂઝ, ધનંજયા સિલ્વા, જેફરી વાંડરસે, થિસારા પરેરા, ઇસરૂ ઉદાના, લસિથ મલિંગા, સુરંગા લકમલ, નુવાન પ્રદીપ, જીવન મેન્ડિસ, મિલિંદા સિરિવર્ધના.

Previous articleધોની હવે સારી સ્થિતિમાં, RCB સામેની મેચમાં રમી શકશે : રૈના
Next articleઅમારી ટીમમાં ૧૧ નંબર સુધી મેચવિનર છેઃ ડેલ સ્ટેન