બાંગ્લાદેશનો ઓલરાઉન્ડર શાકિબ અલ હસન તેની ટીમ સાથે બાંગ્લાદેશ-વેસ્ટ ઇન્ડિઝ-આયર્લેન્ડ વચ્ચે આયર્લેન્ડમાં રમાનારી વનડે સિરીઝ માટેના ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લેશે નહીં. શાકિબ આ સમય દરમિયાન આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે જોડાયેલો રહેશે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના ચેરમેન અક્રમ ખાને આ અંગે એક ઇન્ટરવ્યૂમાં વાત કરતા કહ્યું હતું કે, શાકિબને હૈદરાબાદની ટીમમાં તક ન મળતા તે બાંગ્લાદેશની ટીમ સાથે ૨૩ એપ્રિલથી ટ્રેનિંગ કેમ્પમાં જોડાવવાનો હતો. પરંતુ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના ખેલાડીઓ વતન પરત ફરવાના હોવાથી શાકિબે બોર્ડની પરવાનગી લઈને આઇપીએલમાં હૈદરાબાદની ટીમ સાથે રહેવાનું પસંદ કર્યું છે.
બાંગ્લાદેશના બોલિંગ કોચ કર્ટની વોલ્શે કહ્યું હતું કે, શાકિબ માટે સારું રહેશે જો તે આઇપીએલથી મેચ પ્રેક્ટિસ મેળવીને નેશનલ ટીમ માટે રમવા મેદાને ઉતરે. તેનાથી બાંગ્લાદેશની ટીમને પણ ચોક્કસ ફાયદો થશે. ટ્રાઈ સિરીઝમાં બાંગ્લાદેશ ૭ મેએ વેસ્ટ ઇન્ડિઝ સામે પોતાની પહેલી વનડે રમવાનું છે. કહેવામાં આવી રહ્યું છે કે શાકિબ બાંગ્લાદેશની ટીમ સાથે ૧ મે પછી જોડાશે.