ઉ.ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ

729

ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના જુદા જુદા ભાગોમાં આજે હવામાનમાં એકાએક ફરીવાર પલ્ટો આવ્યો હતો અને વરસાદ તૂટી પડ્યો હતો. ભારે પવન સાથે વરસાદના કારણે ખેડુત સમુદાયમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

કેરીના પાકને પણ ફરી નુકસાન થયું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી, ભુજ, વિરમગામ, બોટાદ, શામળાજી, અંબાજી, જામકંડોરણા સહિતનાી વિસ્તારોમાં પવન સાથે વરસાદ થયો છે. જેથી તાપમાન ઉપર પણ તેની અસર થઈ છે. જોકે કમોસમી વરસાદથી ખેડુત સમુદાય વધારે ચિંતાતૂર છે. અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન ૪૦.૪ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૭.૨ ડિગ્રી નોંધાયું હતું. સૌથી વધારે ગરમીનો અનુભવ આજે રાજ્યના કંડલા એરપોર્ટ ખાતે થયો હતો. જ્યાં પરો ૪૨.૨ ડિગ્રી સુધી રહ્યો હતો. ફેની વાવાઝોડાની અસર જાણે જોવા મળી રહી હોય તેમ ગુજરાત રાજયમાં પણ આજે કેટલાક વિસ્તારમાં હવામાનમાં અને સ્થાનિક વાતાવરણમાં એકાએક નોંધપાત્ર પલ્ટો આવ્યો હતો. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ નોંધાતા રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા હતા. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે બદલાયેલા હવામાન અને પડેલા વરસાદને લઇ બીજીબાજુ, ખેડૂતોમાં કેરી સહિતના પાકોના નુકસાનને લઇ ગંભીર ચિંતા પ્રસરી ગઇ હતી. આજે સૌરાષ્ટ્ર-કચ્છ, ગીર-સોમનાથ, યાત્રાધામ અંબાજી સહિતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતાં વાતાવરણમાં ભારે ઠંડક છવાઇ ગઇ હતી. બીજીબાજુ, ચાલુ વર્ષે ચોમાસા દરમ્યાન ૯૧ ટકાથી લઇ ૧૦૧ ટકા સુધી સારો વરસાદ રહેવાની જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આગાહી કરવામાં આવી હતી. તો, રાજયના હવામાન ખાતાએ ગુજરાતમાં નિયત સમયે જ ચોમાસાના આગમનની આગાહી કરી છે અને તા.૧૫ જૂનની આસપાસ ચોમાસાનો પ્રાંરભ થવાની શકયતા વ્યકત કરી છે. ફેની વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી હોય તેમ અમરેલીના સાવરકુંડલાના બાઢડાથી જાબાળ સુધીના વિસ્તારમાં વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. ભારે પવન સાથે વરસાદી ઝાપટુ વરસી જતા રસ્તા પર પાણી ભરાઇ ગયા હતા. તો, ચલાલા પંથકમાં ધોધમાર વરસાદ ખાબકયો હતો. કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઇ રહી છે ત્યારે ખેડૂતોમાં પણ ચિંતાનું પ્રસરી ગયું છે. વરસાદને પગલે વિસ્તારમાં ઠંકડ પ્રસરી હતી અને પંથકમાં અસહ્ય ગરમીમાંથી લોકોએ રાહત અનુભવી હતી. તો, ધારી પંથકમાં પણ વરસાદી ઝાપટા પડયા હતા. સાવરકુંડલા બાદ અમરેલીના ધારી તાલુકાના જીરા, ખિસરી, કરમદડી, ત્રંબકપુર સહિતના ગામોમાં વરસાદી છાંટા અને હળવા ઝાપટા પડ્‌યા હતા. અસહ્ય બફારા વચ્ચે વરસાદ વરસતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી. તો બીજીબાજુ, કચ્છના ગાંધીધામ પંથકના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા નોંધાયા હતા. યાત્રાધામ અંબાજી ખાતે પણ ભારે પવન અને કાળા ડિંબાગ વાદળ છવાયાના વાતાવરણ વચ્ચે વરસાદ નોંધાયો હતો.

દરમ્યાન રાજયના હવામાન ખાતાએ બે દિવસ વાતાવરણ સામાન્ય રહ્યા બાદ ફરી એકવાર ગરમીનો પારો ઉંચકાય તેવી આગાહી કરી હતી.

Previous articleશનિ અમાવસ્યાના દિવસે મંદિરોમાં શ્રદ્ધાળુ ઉમટ્યા
Next articleઆજથી ઈટા-એકવેરીડ્‌સ ઉલ્કાવર્ષાનો અવકાશી નજારો