સૌરાષ્ટ્ર-ઉ. ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ

949

પશ્ચિમી રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં જુદા જુદા ભાગો પર સર્જાયેલા સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ વચ્ચે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં આજે હવામાનમાં પલટો આવ્યો હતો અને વરસાદ થયો હતો. જુદા જુદા વિસ્તારમાં વરસાદના પરિણામ સ્વરુપે તાપમાનમાં ઉલ્લેખનીયરીતે ઘટાડો થયો હતો. હવામાન વિભાગ તરફથી હજુ પણ ઉત્તર ગુજરાતના જુદા જુદા ભાગોમાં અને ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદથી ખેડૂત સમુદાય ફરી એકવાર ચિંતાતુર દેખાયો હતો. બીજી બાજુ મહત્તમ તાપમાનમાં ઘટાડો પણ થયો છે. આજે અમદાવાદમાં પારો ગગડીને ૩૯.૯ ડિગ્રી રહ્યો હતો. રાજ્યમાં ગાંધીનગરમાં ૪૦.૪, કંડલા એરપોર્ટ ખાતે ૪૦.૨ અને રાજકોટમાં ૪૦.૧ સુધી પારો રહ્યો હતો જે રાજ્યના સૌથી ગરમ વિસ્તારો રહ્યા હતા. અન્યત્ર પારો ૪૦થી નીચે રહ્યો હતો. હવામાન વિભાગે બનાસકાંઠા અને સાબરકાંઠામાં અનેક જગ્યાઓએ ધૂળભરેલી આંધીની સાથે ૩૦થી ૪૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન સાથે વરસાદની ચેતવણી જારી કરી છે. રાજસ્થાનમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને હવાના દબાણમાં નોંધાયેલા ફેરફારના કારણે ગુજરાત રાજયના અમુક વિસ્તારોમાં હવામાનમાં નોંધપાત્ર પલ્ટો આવ્યો હતો. ખાસ કરીને રાજયના સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને ભારે વાવાઝોડા સાથે વરસાદ નોંધાયો હતો. સાબરકાંઠાના હિંમતનગરમાં પણ આજે વરસાદી માહોલ સર્જાયો હતો. જેના કારણે વરસાદ પડયો તે વિસ્તાર અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે ઠંડક પ્રસરી ગઇ હતી. રાજુલા, સાવરકુંડલા સહિતના પંથકોમાં તો, દોઢથી બે ઇંચ જેટલો વરસાદ નોંધાતાં રસ્તાઓ અને ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા. ભરઉનાળે આટલા ભારે વરસાદથી રાજયના ખેડૂતો પણ કેરી સહિતના પાકની નુકસાનીને લઇ ચિંતામાં ગરકાવ થયા છે. હવામાન વિભાગ દ્વારા આવતીકાલે પણ રાજયના કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પલ્ટા અને વરસાદ પડવાની આગાહી કરી છે. દરમ્યાન બનાસકાંઠામાં ભારે ગાજવીજ સાથે વીજળી પડતાં એક ખેડૂત અને બે ભેંસોના મોત નીપજયા હતા, જેને લઇ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

રાજસ્થાન અને પાડોશી દેશ પાકિસ્તાનમાં ગઈકાલે સર્જાયેલા અપર એરસાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે રાજ્યના હવામાનમાં નોંધપાત્ર ફેરફાર આવ્યો હતો. જેના પગલે સૌરાષ્ટ્રના અમરેલી, રાજુલા સહિતના પંથકો તો ઉત્તર ગુજરાત ખાસ કરીને સાબરકાંઠાના હિંમતનગર, બનાસકાંઠા સહિતના પંથકોમાં આજે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને અમરેલીના સાવરકુંડલા, વીજપડી, ભમ્મર, ધાડલા અને ચીખલીમાં વરસાદ નોંધાયો હતો. તો વળી, રાજુલાના મોરંગી પંથકમાં એક કલાકમાં એક ઇંચ વરસાદ ખાબકતાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. રાજુલાના દિપડીયા, આગરીયા, વાવેરામાં પણ સારો એવો વરસાદ નોંધાયો હતો. રાજુલના ડુંગર ખાતે તો, બરફના કરા સાથે વરસાદ પડયો હતો. થરાદ અને વાવ પંથકમાં ગઈકાલે સાંજે વાવાઝોડા સાથે ઝાપટું પડ્‌યું હતું. વાવાઝોડા અને ઝાપટાના પગલે નુકસાન થયું હતું. જેમાં એક ખેડૂત પર વીજળી પડતા તેનું મોત નિપજ્યું હતું. જ્યારે બે ભેંસો પણ મોતને ભેટી હતી. આજે અમરેલીના ખાંભા સહિતના પંથકોમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને વાતાવરણ એકદમ ઠંડુ બની ગયુ હતું. કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ ત્રાટકતાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતો પાકના નુકસાનીને લઇ ચિંતાતુર બન્યા હતા.

ધાનેરામાં લગ્ન પ્રસંગમાં કમોસમી વરસાદ વિલન

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા વિસ્તારમાં લોકોના લગ્ન પ્રસંગ માં વરસાદ અને વાવાઝોડું વિઘ્‌ન ન બન્યો હતો. લગ્ન પ્રસંગે બાંધેલા મંડપ ધરાશાયી થયા હતા તો બીજી તરફ વિજ થાંભલા અને  જાહેર રસ્તા પર વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. લગ્નની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે. લોકો ખૂબ જ ઉત્સાહ સાથે તેમના લાડકવાયા અને લાડકવાયી દીકરીના લગ્ન પ્રસંગ આવી રહ્યા છે. ત્યારે આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વીજળીના કડાકા સાથે ભારે પવન અને વરસાદ તૂટી પડયો હતો. ભારે પવનને લઇ ધાનેરા વિસ્તારના કેટલાક ઘરે લગ્ન પ્રસંગે બાંધેલા મંડપ ઉડી જવા પામ્યા હતા. ગ્રુપમાં સદનસીબે કોઈ જાનહાનિ તો થઇ નથી પરંતુ મોટું નુકસાન થયું છે. તો બીજી તરફ જાહેર રસ્તા પર વૃક્ષો પણ ધરાશાયી થતા કેટલીક જગ્યા પર થોડા સમય માટે વાહન વ્યવહાર પણ અટવાયો હતો અને વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયું હતું. ત્યારે વીજળી પડવાના અને વીજ કરંટ લાગવાના બનાવો પણ સામે આવ્યા છે. ભારે પવન અને વરસાદ આવતાં સમગ્ર ધાનેરા શહેરમાં વીજળી પણ ગૂલ થઈ હતી અને સમગ્ર શહેરમાં અંધારપટ છવાઈ જવા પામ્યો હતો અને લોકોએ ભારે મુશ્કેલી સાથે વાર રાત વિતાવી હતી.

ધાનેરા સિવાય અન્ય અન્ય વિસ્તારોમાં પણ વરસાદ અને ભારે પવન અને કહેર મચાવ્યો હતો. જો વાત કરવામાં આવે લાખણી તાલુકાની લાખણી તાલુકામાં પણ ભારે ભારે પવન અને વરસાદને લઇ લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ભારે પવનથી કોઈના ઘરના પતરા ઉડ્‌યા તો કોઈ પશુ બાંધવાના શેડ ના પતરા ઉડ્‌યા આ પત્ર પશુઓ પર પડતા પશુઓને પણ ગંભીર ઇજા થવા પામી છે અને ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે. ત્યારે ખેડૂતો હવે આશા રાખી રહ્યા છે કે સરકાર આ બાબતે તેમને સહાય આપી મદદરૂપ બને.

Previous articleરાજકોટ ગવરીદડ ગામે નર્મદા કેનાલમાં ભંગાણ
Next articleએક વિચાર જીવન બદલે…