દહેગામ તાલુકાના રામપુર ગામે શંકાસ્પદ રીતે બળી ગયેલા વૃદ્ધનું મોત થયું છે. ખેતરની ઓરડીમાં એકલા રહેલાં વૃદ્ધ રાત્રે સળગતી હાલતમાં બુમાબુમ કરીને દોડ્યા હતા. જેમને પહેલાં ગાંધીનગર સિવિલ અન પછી અમદાવાદ સિવિલ ખસેડાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું છે, જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
ઘટનાની વિગત પ્રમાણે દહેગામ તાલુકાના રામપુર ગામે રહેતાં ભવાનજી જવાનજી પરમાર (૬૦ વર્ષ) ગત રાત્રે પોતાના ખેતરમાં ઓરડીમાં સુતા હતા. રાત્રે અચાનક કોઈ કારણોસર ઓરડીમાં આગ લાગતા વૃદ્ધ આગની ઝપેટમાં આવી ગયા હતા.
તેઓ સળગતી હાલતમાં બહાર આવી બુમાબુમ કરતાં પાસેની એક ઓરડીમાં રહેતાં ગ્રામજને તેમના શરીરે આગ ઓલવી હતી. ઘટનાને પગલે દોડી આવેલા વૃદ્ધના બંને પુત્રોએ તેમને ગાંધીનગર સિવિલ સારવાર માટે લઈ ગયા હતા. જ્યાંથી તેઓને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ ખસેડાયા હતા જ્યાં સારવાર દમિયાન તેમનું મોત થયું હતુ.
ઘટનાને પગલે રખિયાલ પોલીસે લાશનું પેનલ પીએમ કરાવી અકસ્માતે મોતની નોંધ કરી હતી. ઓરડીમાં લાઈટનું કનેક્શન નથી અને વૃદ્ધને બીડી-સીગારેટ જેવું કોઈ વ્યસન પણ ન હતું ત્યારે ખરેખર આગ લાગવાનું કારણ શું હોય શકે તે મુદ્દો હાલ ગ્રામજનોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ઓરડીમાં આગ લાગતા દાઝેલા વૃદ્ધનું મોત થયું હતું.