તળાજાનાં સરતાનપર ગામે પ્રેમી યુગલનો સજોડે આપઘાત

1466

તળાજા તાલુકાનાં સરતાનપર ગામે આજે સવારે મકાનનાં રૂમમાંથી યુવક-યુવતિએ સજોડે આત્મહત્યા કરેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. જ્યારે બંને યુવક-યુવતિ ગુંદરણા ગામનાં પ્રેમી યુગલ હોવાનું ખુલવા પામ્યું હતું. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાગળો કરીને બંને મૃતદેહને મહુવા હોસ્પીટલમાં પી.એમ.અર્થે ખસેડવામાં આવ્યા હતા.

બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મહુવા તાલુકાના તાંતણીયા ગામના વતની અને વર્ષોથી ગુંદરણા ગામે વાડીમાં ભાગ રાખીને રહેતા શામજીભાઇ મકવાણા તેમજ મૂળ તળાજાનાં અને ગુંદરણા ગામે વાડીમાં ભાગ રાખીને રહેતા મનુભાઇ ભાલીયાનાં પરિવારો સાથે ભાગ રાખીને રહેતા હતા. ત્યારે આજે શામજીભાઇ મકવાણાની સાત દિકરીઓ પૈકીની કાજલ તથા મનુભાઇ ભાલીયાનો પુત્ર રાજુભાઇની આજે સવારે સરતાનપર ગામે એક મકાનમાંથી સજોડે આપઘાત કરેલી લાશ મળી આવી હતી. બંને પ્રેમ કરતા હોય પરિવાર એક થવા નહીં દે તેવી બીકે છેક સરતાનપર ગામે જઇને આપઘાત કર્યો હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું હતું. બંનેની આપઘાત કરેલી લાશ મળતા પોલીસે તથા તેઓનાં પરિવારને જાણ કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને બંનેની લાશને મહુવા હોસ્પીટલમાં પી.એમ.અર્થે ખસેડી હતી. બંનેની લાશો એવી રીતે મળી હતી કે તેઓએ આત્મહત્યા કરી છે કે કોઇએ હત્યા કરી છે તેવી સ્થાનિકોમાં ચર્ચાઓ થઇ રહી હતી. ત્યારે મોતનું કારણ પી.એમ. રીપોર્ટ અને પોલીસ તપાસ બાદ બહાર આવે તેવું મનાઇ રહ્યું છે. આ બનાવની ચકચાર મચી જવા પામી છે.

Previous articleભાવનગર  મહાપાલિકાના દ્વારેથી
Next articleશહેરની સલામતી માટે એસ્ટેટ બ્રોકરો સાથે પોલીસની મીટીંગ