સંન્યાસની અટકળો વચ્ચે ચેન્નાઇ સુપર કિંગ્સે કહ્યું : ધોની આવતા વર્ષે આઇપીએલ રમશે

543

વર્લ્ડ કપની સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડના હાથે મળેલી હાર બાદથી મહેન્દ્રસિંહ ધોનીના સંન્યાસને લઈ અનેક અટકળો ચાલી રહી છે. માનવામાં આવી રહ્યું હતું કે સેમીફાઇનલ તેની કારકિર્દીની અંતિમ મેચ હતી. જોકે, ત્યારબાદ ધોની તરફથી કોઈ ઓફિશિયલ જાહેરાત નથી કરવામાં આવી અને હજુ પણ દેશમાં લોકો તે પરત આવતાં કોઈ મોટી જાહેરાતની રાહ જોઈ રહ્યા છે. પ્રશંસકો તેના આઈપીએલમાં રમવાને લઈને પણ ચિંતિત છે.

આ દરમિયાન ધોનીના સંન્યાસને લઈને એક મોટા સમાચાર આવ્યા છે. આઈપીએલની ફ્રેન્ચાઇઝી ટીમ ચેન્નઈ સુપર કિંગ્સે એક સૂત્રને કહ્યું કે ધોની આવતા વર્ષે આઈપીએલમાં રમશે. અહેવાલ મુજબ ૩૮ વર્ષના ધોનીની વનડે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની શક્યતા છે, પરંતુ તે ચેન્નઈ સુપર કિંગ્સ માટે ૨૦૨૦ આઈપીએલ રમશે.

વર્લ્ડ કપની ગ્રુપ મેચમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ ધીમી બેટિંગના કારણે ધોનીને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો, જેનાથી અનેક લોકોએ તો તેને સંન્યાસ લેવાની પણ સલાહ આપી દીધી હતી, પરંતુ તે સેમીફાઇનલમાં દિગ્ગજ વિકેટકિપરે પોતાની બેટિંગથી સારું પ્રદર્શન કરી ભારતની જીતની આશા જીવંત કરી હતી. ધોનીએ સેમીફાઇનલમાં ટીમ કપરી સ્થિતિમાં મૂકાયા બાદ રવિન્દ્ર જાડેજાની સાથે મળીને સાતમી વિકેટ માટે ૧૧૬ રનની પાર્ટનરશીપ કરી હતી. પરંતુ તે ટીમને જીત ન અપાવી શક્યો. માર્ટિન ગપ્ટિલે તેને રન આઉટ કરીને ભારતની આશાઓ તોડી દીધી હતી.

Previous articleઆઇપીએલમાં આઠ ટીમોના સ્થાને ૧૦ ટીમો રમશે…!!
Next articleવિજેન્દ્ર સિંહની ધમાકેદાર વાપસી, અમેરિકાના બોક્સર સ્નાઇડરને  હરાવ્યો