અલ્પેશ ઠાકોર આજે ભાજપમાં જોડાશે

544

છેલ્લા એક મહિનાથી કોંગ્રેસ છોડ્‌યા બાદ પક્ષ વિના લટકી પડેલા અલ્પેશ ઠાકોર હવે ઘણા વિવાદો અને દાવાઓ બાદ આખરે આવતીકાલે ભાજપમાં જોડાઇ જાય તેવી પૂરી શકયતા છે. જો કે, અલ્પેશ ઠાકોરને મંત્રી પદ મળે છે કે, અન્ય કોઇ મોટો હોદ્દો અપાય છે, તેને લઇને ગંભીર પ્રશ્નાર્થ છે. અલ્પેશની સાથે કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર ધવલસિંહ ઝાલા પણ ભાજપમાં જોડાશે. જો કે, ભાજપમાં બંનેના હોદ્દા અને સ્થાનને લઇ અનેક સવાલો અને પડકારો છે. કારણ કે, જો અલ્પેશને મંત્રી પદ કે કોઇ મોટો હોદ્દો અપાય તો, ભાજપમાં આંતરિક ગજગ્રાહ વકરે તેવી પૂરી શકયતા છે કારણ કે, પક્ષમાં પહેલેથી જ નિષ્ઠાથી કામ કરી રહેલા લોકોને અવગણી બહારથી આવેલા લોકોને જો વધુ પડતુ મહત્વ અપાય તો ભાજપમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડે તેવી પણ દહેશત છે, તેથી એવું પણ શકય છે કે, અલ્પેશ ભાજપના સામાન્ય કાર્યકર તરીકે કામ કરવા મજબૂર બને. આવતીકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના મહાનુભાવોની હાજરીમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાય તેવી શકયતા છે. તાજેતરમાં અલ્પેશ ઠાકોરે ખુદ સ્પષ્ટ કર્યું કે, તે ભારતીય જનતા પાર્ટી જે કામ સોંપશે તે કરવા તૈયાર છે. આમ મંત્રી બનવાના સપના જોનારો અલ્પેશ હવે માત્ર કાર્યકર બનીને રહી જાય તેવી ચર્ચાએ પણ જોર પકડયું છે. અલ્પેશ ઠાકોરની સાથે તેનો ઝભ્ભો પકડીને ગયેલા પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ કેસરિયો ખેસ ધારણ કરશે. આ સમયે ઓબીસી એકતામંચના અનેક આગેવાનો પણ ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે, તા.૫ જુલાઈના રોજ યોજાયેલી રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યા બાદ થોડીવારમાં જ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહે ધારાસભ્યપદેથી રાજીનામુ આપી દીધું હતું. ઘણા લાંબા સમયથી અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે અને તેને મંત્રી બનાવશે તેવી રાજકીય ગતિવિધિઓ ચાલી રહી હતી. પરંતુ અલ્પેશ ઠાકોરને મંત્રી બનાવવા પાછળ ભાજપની પણ સોદાબાજી હોવાનું બહાર આવ્યું હતું. જેમાં અલ્પેશ ઠાકોર કોંગ્રેસના પાંચથી વધુ ધારાસભ્યો લઈને ભાજપમાં આવે તો જ તેને મંત્રીપદ આપવું તેવી ચર્ચાઓ ચાલી હતી. પરંતુ છેલ્લા બે મહિનાથી અલ્પેશ ઠાકોરે પહેલ કરીને કોંગ્રેસમાંથી રાજીનામાની કાર્યવાહી શરૂ કરી હતી. પરંતુ અલ્પેશની સાથે રાજીનામા આપવા માટે અન્ય કોઈ કોંગ્રેસના ધારાસભ્યો તૈયાર ન થતા અલ્પેશ ઠાકોર અટવાયો હતો. રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગના મુદ્દે ગેરલાયક ઠરવાની દહેશતને કારણે અલ્પેશે મતદાન કર્યા બાદ તુરંત જ કોંગ્રેસના ધારાસભ્યપદેથી રાજીનામું આપવાની ફરજ પડી હતી. જ્યારે અલ્પેશ ઠાકોરનો ઝભ્ભો પકડીને ચાલતા ધવલસિંહ ઝાલાએ પણ અલ્પેશના માર્ગે ચાલીને રાજીનામું તો આપી દીધું પરંતુ આ બન્નેનો ભાજપ પ્રવેશનો માર્ગ મુશ્કેલ બન્યો છે. માત્ર એટલું જ નહીં જો ભાજપ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહને પ્રવેશ આપશે તો મંત્રીપદ તો ઠીક પણ ફરીથી વિધાનસભાની ટિકીટ મળશે કે નહીં તેની સામે પ્રશ્નાર્થ છે.

જો કે, આવતીકાલે ગુજરાતમાં રાજકીય પ્રતિષ્ઠા અને શાખ બચાવવા અલ્પેશ ભાજપનો સહારો લઇ પોતાની પોલીટીકલ કેરિયર બચાવવા વધુ એક દાવ ખેલી રહ્યો છે, જેને લઇને પણ હાલ ચર્ચા જોરદાર ચાલી રહી છે. અલ્પેશ ઠાકોરને લઇને હાલમાં રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે.

Previous articleકોંગ્રેસથી રાજીનામું આપનાર વિનુ અમીપરા ભાજપમાં ઇન
Next article૧૨ જણાંનો ભોગ લેનાર ટ્રક ડ્રાઇવરનું લાઇસન્સ રદ થશે