કોળિયાક ખાતે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત વિશેષ જનસંપર્ક કાર્યક્રમ યોજાયોે

1188

ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયના ફિલ્ડ આફિલ્ડ આઉટરિચ બ્યુરો જૂનાગઢ દ્વારા ભાવનગર જિલ્લાના કોળિયાક ખાતે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત વિશેષ જનસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો. આ જનસંપર્ક કાર્યક્રમમાં કોળિયાક ગામના સરપંચ જગદીશભાઈ, ગુંદી ગામના સરપંચ વિપુલભાઈ,તાલુકા પંચાયત સદસ્ય કાળુભાઇ ભાવનગર જિલ્લાના નિવૃત્ત ડી.આઇ.ઇ.સી.ઓ. કે.પી.કુંચાલા તેમજ ગ્રામપંચાયતના સભ્યશ્રીઓ અને કેન્દ્રવર્તી શાળાના આચાર્ય તુષારભાઈ વડેરા, કન્યાશાળાના આચાર્ય ઝરણાબેનની ઉપસ્થિતિ રહી હતી.

કાર્યક્રમ પહેલા કોળીયાક ગામમાં સ્વચ્છતા જન જાગૃતતા રેલી કાઢવામાં આવી. જેમાં શાળાના વિદ્યાર્થીઓ, કર્મચારીગણ તેમજ ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી જનસંપર્ક કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.ભારત સરકારના ફિલ્ડ એન્ડ આઉટરિચ બ્યુરો જૂનાગઢ કાર્યાલયના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ સ્વાગત સાથે કાર્યક્રમનો હેતુ સ્પષ્ટ કર્યો હતો.સ્વચ્છતા સંદર્ભે  સરકારી તંત્ર દ્વારા થઈ રહેલી કામગીરી વિશે લોકોને જાણ થાય અને સ્વચ્છતા અભિયાનમાં સૌ કોઈ જાગૃત થઈ પૂર્ણ સહયોગ આપે તે માટે આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું .સાથે જ કાર્યક્રમ દરમિયાન સ્વચ્છ ભારત અભિયાન સાથે જોડાયેલ સરકારની વિભિન્ન યોજનાઓ અંગે પણ જાણકારી પુરી પાડી હતી.

ઉપસ્થિત આગેવાનોેએ પોતાના વક્તવ્ય દ્વારા સૌને સ્વચ્છતા અંગે જાગૃત કર્યા હતા તેમજ ભારત સરકારના સ્વચ્છ ભારત અભિયાન સાથે જોડાઈ ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે અપીલ કરી હતી.

જિલ્લાના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવી ચૂકેલા ડી.આઇ.ઇ.સી.ઓ. કે.પી.કુંચાલાએ સ્વચ્છતા અને સ્વાસ્થ્ય વિષય પર વક્તવ્ય આપતા જણાવ્યું કે સારા સ્વાસ્થ્ય માટે સ્વચ્છતા અનિવાર્ય છે અને તેમાં પણ ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન બીમારીઓથી દુર રહેવાનો એકમાત્ર ઉપાય એ સ્વચ્છતા છે.સાથે જ આ ઋતુ માં સ્વચ્છતા સંદર્ભે રાખવાની તકેદારી ની માહિતી આપી હતી. કેન્દ્રવર્તી શાળાના આચાર્ય તુષારભાઈએ વિદ્યાર્થીના જીવનમાં સ્વચ્છતાના મહત્વને સમજાવતા વિદ્યાર્થીઓને માત્ર શાળામાં જ નહિ પરંતુ પોતાના ઘરમાં, આંગણામાં અને ગામમાં સ્વચ્છતા જાળવવા અનુરોધ કર્યો.

કાર્યક્રમ દરમિયાન ગંદકી ના કરવા માટે , ગંદકી ને દૂર કરવા માટે તેમજ કચરાના રીસાયકલિંગ માટે પણ લોકોને સમજ સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું.પ્લાસ્ટિકના ઉપયોગ ને બંધ કરી તેનાથી પર્યાવરણ ને થતાં નુકશાન ને અટકાવવા અપિલ કરવામાં આવી. જેના સંદર્ભમાં કન્યાશાળાની વિદ્યાર્થીનીઓએ પ્લાસ્ટિકની બિનવપરાશ વસ્તુમાંથી વેસ્ટ માંથી બેસ્ટ કેવી રીતે બનાવી શકાય તેને દર્શાવીને પ્લાસ્ટિકની વસ્તુઓ ના વાપરવા માટે તેમજ જો તેનો એકવાર ઉપયોગ કર્યો હોય તો તેને કચરારૂપે બહાર ન ફેંકી દઈ તેમાંથી કોઈ વપરાશી વસ્તુ બનાવવા ભાર મૂક્યો હતો.

આ જનસંપર્ક કાર્યક્રમના ભાગરૂપે કોળીયાક ગામની આજુબાજુના ગામમાં પણ વિશેષ પ્રચાર કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે ગુંદી ગામની પ્રાથમિક શાળામાં સ્વચ્છતાના વિષયોને ધ્યાનમાં રાખી ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓએ ચિત્રો દોરી પોતાના વિચારો રંગોથી વ્યક્ત કર્યા હતા જ્યારે નવા રતનપર ગામની શાળામાં સ્વચ્છતાના વિષય પર નિબંધ સ્પર્ધાનું આયોજન થયું હતું, આ બંને સ્પર્ધામાં વિજેતા થનાર વિદ્યાર્થિઓને પુરસ્કૃત કરવામાં આવ્યા. આ ઉપરાંત કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતાના વિષયને લઈને પ્રશ્નોત્તરી કરવામાં આવી જેના વિજેતાઓને કાર્યક્રમમાં મહેમાનોના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Previous articleનવાગામ ખાતે ડોર ટુ ડોર કચરાનું કલેકશન કરી વૈજ્ઞાનિક ઢબે કરાય છે કચરાનો નિકાલ
Next articleસુરતમાં જાગરણ નિમિત્તે બહેનોને ફરાળ અપાયું