ઢીલા કર્મી.ઓ હવે LCBમાં નહીં મુકાય : DGP

739

જીલ્લાના પોલીસ દળમાં લોકલ ક્રાઇમ બ્રાંચ ખૂબ મહત્વની એજેન્સી ગણાય છે. સૌથી વધુ માભો ધરાવતી આ બ્રાંચની કામગીરી અંગે આજ સુધી કોઇ સ્પષ્ટ રૂપરેખા હતી નહિ. તેવી જ રીતે આ બ્રાંચમાં જીલ્લાના કયા અધિકારી અને કર્મચારીને નિમણૂક આપવી તે અંગેના પણ કોઇ નિયમો બનેલા ન હોવાથી મોટે ભાગે જીલ્લાના પોલીસ વડાની ગુડબુકમાં રહેતાં લોકોને જ આ બ્રાંચમાં પોસ્ટીંગ આપવામાં આવતું હતું. પરંતુ આ બાબત ચલાવી ન લેવા માટે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા આજ રોજ એક ખાસ પરિપત્ર બહાર પાડીને જીલ્લાની એલ.સી.બી.ની કામગીરી તથા તેમાં આપવાની નિમણૂક બાબતે વિસ્તૃત સુચનાઓ બહાર પાડવામાં આવેલ છે.ડી.જી.પી.ના આ પરિપત્રમાં એલ.સી.બી. દ્વારા કરવાની રહેતી કામગીરી વિશે સુચના અપાવામાં આવેલ છે. જેમાં. એલ.સી.બી.એ મુખ્યત્વે ગંભીર ગુનાઓની તપાસ અને અન-ડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા ઉપર વિશેષ ભાર મૂકવામાં આવેલ છે. તે સિવાય ફરાર આરોપીઓ પકડવાની અનડીટેક્ટ મર્ડર શોધવાની, વણઓળખાયેલી લાશોને ઓળખી કાઢવાની, ગુનેગારોની મોડસ ઓપરેન્ડી તથા હિસ્ટ્રીશીટરોનો ડેટાબેઝ તૈયાર કરવાની, ગુમ થયેલ સગીર વયના છોકરા/છોકરીને શોધવા જેવી કામગીરી પણ એલ.સી.બી.એ કરવાની રહેશે. પરિપત્રમાં એમ પણ જણાવવામાં આવેલ છે કે ગંભીર ગુનાના બનાવોમાં એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટરે જાતે સ્થળ મુલાકાત લેવી. ઉપરાંત હથિયારો અંગેના, માદક પદાર્થો અંગેના, મહિલા અને બાળકો વિરુધ્ધના, સાયબર ક્રાઇમ, પાસપોર્ટ એક્ટ અંગેના ગંભીર ગુનાઓની તપાસ પણ આ બ્રાંચ દ્વારા જ કરવાની સુચના આપવામાં આવેલ છે. જેમાં ખાસ કરીને પી.એસ.આઇ માટે ૫ વર્ષથી વધુનો અને પી.આઇ. માટે ૭ વર્ષથી વધુનો અનુભવ ધરાવતાં અધિકારીને જ મૂકવા સૂચના કરવામાં આવેલ છે. ઉપરાંત જે બાતમીદારોનું નેટવર્ક ધરાવતાં હોય, વિસ્તારની ભૌગોલીક અને સમાજીક પરિસ્થિતિથી વાકેફ હોય, ગુનાઓની તપાસ અને કાયદાનું પૂરતું જ્ઞાન ધરાવાતાં હોય, મીડિયા કે સોશ્યલ મીડિયામાં છવાઇ જવાની કે વૃત્તિ ન રાખે તથા સ્વચ્છ છાપ ધરાવતાં હોય તેવા જ અધિકારી/કર્મચારીઓને નિમણૂક અપવા માટે સુચના કરવામાં આવેલ છે.

Previous articleનડ્ડાનુ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભવ્ય સ્વાગત : નડ્ડા પ્રભાવિત
Next articleપ્રિયંકા ગાંધીના સમર્થનમાં ગુ.કોંગ્રેસ દ્વારા ધરણાં