૫ દિવસ અતિભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

1561

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થાય તે માટે બે સિસ્ટમ સક્રિય થઈ છે. જેને પગલે આગામી ૫ દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. તેમજ રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે, સાથે જ માછીમારોને પાંચ દિવસ દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તરગુજરાત, દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે.નોર્થ ઓરિસ્સા અને ઝારખંડ પર બનેલા લો પ્રેશર એરિયાથી વરસાદી સિસ્ટમ સર્જાઈ છે તેવી જ રીતે ઉત્તર પ્રદેશ પર સર્જાયેલા અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ જે આગળ વધીને મધ્યપ્રદેશ તરફ આવી છે જેની સીધી અસર ગુજરાતના વાતાવરણમાં જોવા મળી રહી છે. આગામી ચાર-પાંચ દિવસમાં સારો એવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. સાથે જ ભારેથી અતિભારે વરસાદ ગુજરાત રીજનમાં તેમજ કચ્છ વિસ્તારમાં પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું છે કે ગુજરાતમાં ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર કચ્છમાં ૨૪ કલાક બાદ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ બે સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહિસાગર ઉપરાંત અમદાવાદ ગાંધીનગરમાં પણ ખુબ જ સારો વરસાદ થશે. ૩૦ તારીખ આસપાસ સિસ્ટમ કચ્છ તરફ આગળ વધતા મોરબી, જામનગરમાં વરસાદની સંભાવના છે. જેથી કુલ મળીને આગામી ૫ દિવસમાં વરસાદની સંભાવના છે. હાલમાં સિઝનનો ૩૨ ટકા વરસાદ નોંધાયો છે.

પરંતુ આ વરસાદના કારણે વરસાદની ટકાવારીમાં વધારો થશે. આ વખતે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ નોંધાયો છે. આ વરસાદથી ઉત્તરગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતમાં પણ વરસાદની કમી પૂર્ણ થશે. ત્યારબાદ ૩૧ તારીખ પછી એક લો પ્રેશર એરિયા સિસ્ટમ વેસ્ટ બેંગાલમાં બનશે. જેના બે-ત્રણ દિવસ બાદ ૨ કે ૩ ઓગસ્ટે ગુજરાતમાં સારો વરસાદ પડવાની શક્યતા છે.

અત્યાર સુધી અમદાવાદમાં ઓછો વરસાદ નોંધાયો છે ત્યારે આગામી ૨૮ અને ૨૯ તારીખે અમદાવાદ અને ગાંધીનગર મધ્ય ગુજરાત તરફ પણ સારો વરસાદ જોવા મળશે. દક્ષિણ ગુજરાત, દમણ, દાદરાનગર હવેલી, વલસાડ , નવસારી સુરત ડાંગ તેમજ ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, તેમજ કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્ર નગર, રાજકોટમાં ભારે વરસાદની શક્યતા છે. તેમજ આગામી ૫ દિવસ સુધી રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને પણ દરિયો નહિ ખેડવાની સુચના આપવામાં આવી છે.

Previous articleસતત ૧૭ કલાક અને ૪૦ મિનિટ સુધી કામગીરી થઈ
Next articleસૌરાષ્ટ્ર અને દ. ગુજરાતમાં ભારે વરસાદ