બોપલમાં પાણીની ટાંકી ધરાશાયી થતાં ૩ના મોત અને ૬ ઘાયલ

482

શહેરના બોપલ વિસ્તારમાં તેજસ સ્કૂલ પાસે પાણીની એક ટાંકી ધરાશાયી થઈ હતી. જેમાં ૩ વ્યક્તિના મોત થયા હોવાનું સામે આવ્યું છે. દુર્ઘટનાને પગલે વિદેશ પ્રવાસે ગયેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટેલિફોનિક વાતચીત કરીને કલેક્ટર પાસે સ્થિતિની માહિતી મેળવી હતી. દુર્ઘટનાનો બનાવ બાજુમાં આવેલી કેટરિંગના શેડ પાસે બન્યો હતો. ઘટનાની જાણ થતાં અમદાવાદ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ટાંકી ખાબકતા તેની નીચે ૬ જેટલા લોકો દબાયા હતા. જેમને રેસ્ક્યૂ કરી બહાર કાઢવામાં આવ્યા છે. દુર્ઘટનામાં એક વ્યક્તિના બે પગ કપાઇ જતા તેની હાલ ગંભીર છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અચાનક ટાંકી નમી ત્યારે કારીગરો પૈકી જે હતા હાજર તેઓ દોડીને બહાર નીકળ્યા ગયા હતા. જો કે નવ લોકો બહાર નીકળી શક્યા ન હતાં.

મુખ્યમંત્રીએ રશિયાથી કલેકટર વિક્રાંત પાંડે સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને મૃતકોને સહાય આપવાની ખાતરી આપી હતી. જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહે બોપલ ખાતે પાણીની ટાંકી તુટી પડતાં સર્જાયેલી દુર્ઘટના બાબતે અમદાવાદના કલેક્ટર તથા સ્થાનિક પદાધિકારીઓ સાથે ટેલિફોનિક વાત કરી દુર્ઘટનાની સંપૂર્ણ જાણકારી મેળવી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક યોગ્ય સારવાર મળે તેમજ તેમના પરિવારોને યોગ્ય સહાય મળે તે માટે સૂચનાઓ આપી હતી. ભાજપાના પદાધિકારીઓ અને કાર્યકરોને પણ આ દુઃખની ઘડીએ ઇજાગ્રસ્તોની સાથે રહી તેમને સાંત્વના આપી તમામ પ્રકારની મદદ પહોંચાડવા સૂચના આપી હતી.

ડો. વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે, બોપલમાં આવેલી ટાંકી ધરાશાયી થઈ હતી જેમાં ચાર લોકોને બહાર કાઢી બચાવ્યા છે. ૩ વ્યક્તિના મોત નીપજ્યા છે, જ્યારે એકની હાલત ગંભીર છે. મૃતકો યુપી અને બિહારના છે. પાણીની ટાંકી જૂની હતી. વરસાદના કારણે જમીન બેસી જાય અને જૂની ઇમારત પડી જાય છે. જે કોઈ જવાબદાર હશે તેમની સામે પગલાં ભરવામાં આવશે. ભંડારી કેટરર્સના મેનેજર હનીફે જણાવ્યું હતું કે, ૧૦થી વધુ કારીગર અંદર હતા. સૂરજ દિવાકર નામના વ્યક્તિ કેટરર્સ માલિક છે. કેટરર્સ માટે શેડ ભાડે લેવામાં આવ્યો હતો. જર્જરિત થયેલી ટાંકીની આસપાસના રહીશોએ તંત્રને અનેક વાર ફરિયાદ કરી હોવા છતાં કોઈ પગલાં લેવાયા ન હતા. આજે (સોમવારે) બપોરે ૧૨ વાગ્યા આસપાસ પાણીની ટાંકી ધડાકાભેર તૂટી પડી હતી. જેને પગલે પાસે કેટરિંગમાં કામ કરતા કેટલાક મજૂરો દટાયા હતા.

Previous articleIBના એલર્ટને પગલે અંબાજી મંદિરમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત
Next articleદ્વિપક્ષીય મતભેદ ઉપર કોઇ વિવાદ થવા જોઇએ જ નહીં