સમાજના જુદા જુદા વર્ગોના લોકોનો ભાજપમાં આવકાર

456

ભારતીય જનતા પાર્ટીમાં જુદા જુદા વર્ગના લોકો અને કલાકારોના પ્રવેશવાનો સિલસિલો જારી રહ્યો છે. આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં કલમલ કોબા ખાતે બેઠક યોજાઈ હતી જેમાં અમદાવાદ સ્થિત સોલા ભાગવત વિદ્યાપીઠના શાસ્ત્રી કૌશિક જોશી, શાસ્ત્રી હરેશભાઈ જોશી તથા ભાગવત વિદ્યાપીઠના ૧૫૦ ઋષિકુમાર ઉપરાંત યુવા ઉદ્યોગપતિ રવિભાઈ પટેલ ભાજપમાં જોડાયા હતા. તમામને પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ આવકાર આપ્યો હતો. જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, હાલ સમગ્ર દેશમાં ભાજપના સંગઠન પર્વ ૨૦૧૯ હેઠળ ઉત્સાહિત માહોલમાં સભ્ય વૃદ્ધિ અભિયાન ચાલી રહ્યું છે. સમગ્ર દેશમાંથી સમાજના તમામ વર્ગના લોકો ગૌરવભેરરીતે ભાજપમાં જોડાઈ રહ્યા છે. આ તબક્કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા અખંડ ભારત અને રાષ્ટ્ર નિર્માણની દિશામાં એક પછી એક નિર્ણયો કરવામાં આવી રહ્યા છે. આવા નિર્ણયોના પરિણામ સ્વરુપે જનસેવાના ભાવથી અનેક નામી નાગરિકો ભાજપમાં જોડાઈ રહ્યા છે.

રાષ્ટ્ર પ્રથમની વિચારધારાથી તમામ લોકો પ્રભાવિત થઇ રહ્યા છે. ભાજપમાં જોડાયેલા તમામે પોતપોતાની પ્રતિક્રિયાઓ આપી હતી. બીજી બાજુ ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી વી સતિષ અને અન્યોની ઉપસ્થિતિમાં કમલમ ખાતે સંગઠન સહરચના કાર્યશાળા યોજાઈ હતી જેમાં વી સતિષે કહ્યું હતું કે, ભાજપ પ્રત્યે દેશની જનતાની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ વધી રહી છે. વૈશ્વિક રાજનીતિમાં ભારત હવે ગ્લોબલ લીડર બની રહ્યું છે. દેશની જનતામાં સરકાર પ્રત્યેનો વિશ્વાસ દૃઢ બની રહ્યો છે. બૂથ સમિતિથી લઇને પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાએ સહરચનામાં જુના અનુભવી તથા નવા પ્રાણવાન કાર્યકરોનું સંમિશ્રણ ધ્યાનમાં રાખવાની બાબત છે.

Previous articleસ્વર્ગસ્થ રાજીવ ગાંધીની જન્મજ્યંતિ નિમિત્તે પુષ્પાંજલિ અપાઈ
Next articleરોગોથી કેમ બચવું ?