વલભીપુરના સાડા રતનપર ગામની કેરી નદીમાં ડુબી જતા પાંચના મોત

740

વલભીપુર તાલુકાના સાડા રતનપર ગામે આવેલી કેરી નદીના પાણી ભરાયેલા તળાવમાં બપોરના સમયે ન્હાવા પડેલા દેવીપુજક સમાજના એક જ પરિવારના દસ સભ્યો ડુબ્યા હતાં. જેની જાણ થતા સ્થાનિક તરવૈયાઓ અને ફાયર બ્રિગેડની મદદથી પાંચને બચાવી લેવાયા હતાં. જયારે પાંચ વ્યક્તિના ડુબી જવાથી મોત થતા અરેરાટી પ્રસરી જવા પામી હતી. બનાવના પગલે પોલીસ તથા વહીવટી તંત્ર ઘટના સ્થળે દોડી ગયેલ.

બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના સાડા રતનપર ગામે પસાર થતી કેરી નદીમાં વરસાદના કારણે આવેલા પાણી બાજુના નાના તળાવમાં ભરાયેલા હતા ત્યારે આજે બપોરના બારેક વાગ્યાના સુમારે દેવીપુજક સમાજના ખેતમજુર પરિવારના ૧૦ લોકો આ પાણીમાં ન્હાવા પડ્યા હતા અને તેઓ ડુબવા લાગતા તુરંત જ ગામમાં જાણ કરાતા ગ્રામજનો તથા સ્થાનીક તરવૈયાઓ દોડી આવ્યા હતાં. અને તુરંત જ ફાયર તથા પોલીસને જાણ કરાતા ફાયર બ્રિગેડ, પોલીસ કાફલો, મામલતદાર, ટીડીઓ સહિત ઘટના સ્થળે દોડી આવેલ અને તરવૈયાઓ તથા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ૧૦માંથી પાંચને બચાવી લેવાયા હતાં. જયારે પાણીમાં ડુબી જતા ગીરધરભાઈ લખાભાઈસોલંકી (ઉ.વ.૬૦), ગોપાલભાઈ ગીધરભાઈ સોલંકી (ઉ.વ.૧૮), મહેશભાઈ મેહુલભાઈ સોલંકી (ઉ.વ.૧૭), નીશાબેન મેહુલભાઈ સોલંકી (ઉ.વ.૧૩)ની લાશ બહાર કઢાઈ હતી. જયારે ભાવનગર ગીધરભાઈ સોલંકી (ઉ.વ.૧૮)નો શ્વાસ ચાલુ હોય તેને ૧૦૮ મારફત વલભીપુર સરકારી દાવાખાને સારવાર માટે ખસેડાયેલ જયા તેઓનું પણ મૃત્યુ થતાં એક જ પરિવારના પાંચ વ્યક્તિના ડુબી જતા મોત નિપજયા હતાં. આ બનાવથી સમગ્ર વલભીપુર પંથકમાં અરેરાટી પ્રેસરી જવા પામેલ. મૃતક તમામને વલભીપુર સરકારી દવાખાને પી.એમ. અર્થે ખસેડાયેલ.  આ ઘટનાની જાણ થતા સરકારી તંત્ર ઉપરાંત ભાજપા આગેવાન વલભીપ્ભાઈ કામ્બડ તેમની તરવૈયાની ટીમ તેમજ રાજકીય આગેવાનો સહિત ઘટના સ્થળે દોડી ગયા હતાં. આ બનાવના પગલે ધારાસભ્ય પ્રવિણભાઈ મારૂ દ્વારા મૃતકના પરિવારને સરકાર તરફથી રૂા. પ-પ લાખ સહાય આપવા મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરી હતી.

Previous articleપ્રધાનમંત્રી કિસાન માન-ધન યોજના હેઠળ ખેડુતોને દર માસે રૂ.૩૦૦૦ પેન્શન મળશે
Next articleપછતાઓગે ડાન્સ કરતી વેળા નોરા ફતેહીની શોર્ટ ડ્રેસ સરકી