પસંદગી સમિતિના અધ્યક્ષ એમએસકે પ્રસાદે સંકેત આપ્યા કે રોહિત શર્માને ભારતની ટેસ્ટ ઈલેવનમાં ઓપનિંગ બેટ્સમેનના રૂપમાં તક મળી શકે છે, જ્યારે લોકેશ રાહુલનું ફોર્મ ચિંતાનો વિષય છે.
ભારતની એકદિવસીય આંતરરાષ્ટ્રીય ટીમનો વાઇસ કેપ્ટન રોહિત છેલ્લા ઘણા સમયથી શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે પરંતુ તેમ છતાં ટીમમાં સામેલ હોવા પર પણ તેને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બે ટેસ્ટની સિરીઝમાં રમવાની તક ન મળી. રોહિત ટેસ્ટ ટીમમાં સામાન્ય રીતે મધ્યમક્રમના બેટ્સમેનના રૂપમાં રમે છે પરંતુ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ અંજ્કિય રહાણે અને હનુમા વિહારીની સફળતા બાદ સંભાવના છે કે તેને ટીમમાં ઓપનિંગ બેટ્સમેનના રૂપમાં ઉતારી શકાય છે જે ભૂમિકામાં તે નાના ફોર્મેટમાં સફળ રહ્યો છે. પ્રસાદે કહ્યું, ’પસંદગી સમિતિના રૂપમાં અમે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ બાદ મુકાલાત કરી નથી. જ્યારે અમે બધા બેઠક કરીશું તો ચોક્કસપણે તેના પર (ઓપનિંગ બેટ્સમેનના રૂપમાં રોહિતને ઉતારવો) વિચાર કરીશું અને ચર્ચા કરીશું.’