સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના (PMAGY) અમલમા
મુકવામાં આવેલ છે. આ યોજનામાં જે ગામની વસ્તી પાંચસો અથવા તેનાથી વધુ હોય અને તેના ૫૦% લોકો
અનુસૂચિત જાતિના હોય તો તેવા તમામ જિલ્લાઓને આ યોજના હેઠળ આવરી લેવા માટે વિચારણા કરી હાલ
ગુજરાતના ૧૧ જિલ્લાના કુલ ૨૫ ગામોની આ યોજના માટે પંસદગી કરવામા આવેલ છે. જે પૈકી ભાવનગર
જિલ્લાના ગારીયાધાર તાલુકાનું ચોમલ ગામ પસંદગી પામેલ છે. આ પસંદગી પામેલ ગામનો સર્વગ્રાહી વિકાસ થાય
તે માટે જિલ્લા સ્તરે જિલ્લા વિકાસ અધિકારીશ્રીના વડપણ હેઠળ જિલ્લા કક્ષાની સમિતિની રચના કરવામા આવેલ
છે.જેની પ્રથમ બેઠક જિલ્લા વિકાસ અધિકારીશ્રી વરૂણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં નાયબ નિયામક(અનુસૂચિત
જાતિ) દ્વારા જિલ્લા પંચાયત, ભાવનગર ખાતે તા.૦૯/૧૨/૨૦૧૯ના રોજ બોલાવવામાં આવી હતી.
ઉક્ત ગામને ખરેખર આદર્શ ગ્રામ બનાવી શકાય તે માટે લગત તમામ ખાતાના અધિકારીશ્રીઓ આ બેઠકમા
ઉપસ્થિત રહ્યા હતા. તેઓના ખાતાને લગત કામગીરીનો જરૂરી સર્વે કર્યા બાદ ઝડપથી આ યોજનાનુ અમલીકરણ
થાય તે માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સુચન તેમજ માર્ગદર્શન પુરૂ પાડયુ હતું. અને આ યોજનાને સફળતાથી
અમલમાં લાવી શકાય તે અંગે જરૂરી ચર્ચા કરવામાં આવી હતી. આ સમિતિ વિવિધ ક્ષેત્રો જેવા કે પીવાના પાણી અને
સ્વચ્છતા, શિક્ષણ, આરોગ્ય અને પોષણ, સામાજીક સુરક્ષા, માર્ગો અને ગૃહ નિર્માણ, વીજળી અને સ્વચ્છ બળતણ,
કૃષી પદ્ધતી, રોજગાર અને કુશળતા વિકાસ, ડીઝીટાઇઝેશન વગેરે બાબતો ધ્યાને રાખી ચોમલ ગામને આદર્શ
બનાવવા કાર્ય કરશે.