દહેગામ ખાતે ઠાકોર સમાજ કેળવણી ટ્રસ્ટ દ્વારા વ્યસન મુક્તિ રથનો કાર્યક્રમ યોજાયો

1271
gandhi1452017-2.jpg

ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે ગુજરાત ઠાકોર સમાજ કેળવણી ટ્રસ્ટ દ્વારા યોજાયેલ મહાકાળી વ્યસન મુકતિ રથનાં કાર્યક્રમમાં શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું હતુ કે સમગ્ર સમાજ વ્યસન મુકત બને અને શિક્ષણનો વ્યાપ વધે તો જ તંદુરસ્ત સમાજ ઘડતરનું નિર્માણ થશે અને ઠાકોર સમાજનો સર્વાંગી વિકાસ થશે. તેમણે યુવાનોને વ્યસન મુકત બની શિક્ષણ અને ધંધા – રોજગાર ક્ષેત્રે રાજય સરકારની વિવિધ વિકાસ યોજનાઓનો લાભ લઇ પગભર બનવા અપીલ કરી હતી. ગત નવેમ્બર માસમાં પવિત્ર યાત્રાધામ પાવાગઢ ખાતેથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે મહાકાળી વ્યસન મુકતિ રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. વ્યસન મુકિત પ્રત્યે ગ્રામીણ સમાજમાં જનજાગૃતિ ફેલાવવાના ઉમદા હેતુથી શરૂ કરેલ આ રથ યાત્રા પંચમહાલ, વડોદરા, આણંદ, ખેડા, અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના  વિવિધ વિસ્તારોમાં ફરીને દહેગામ ખાતે આવી પહોંચતા રથનું સ્વાગત કરી વ્યસન મુકિતના વ્યાપક પ્રચાર – પ્રસારનું ઉમદા કાર્ય કરવા બદલ   પ્રમુખ રોહિતજી ચંદુજી ઠાકોરને અભિનંદન પાઠવ્યા હતાં. 
આ પ્રસંગે જળ સંપતિ રાજય મંત્રી નાનુભાઇ વાલાણી, સુરેન્દ્રનગરનાં સાંસદ શંકરભાઇ વેગડ, સંસદીય સચિવ ભરતસિંહ ડાભીએ પ્રાંસગિક પ્રવચનોમાં જણાવ્યું હતુ કે વ્યસન  મુકિત રથ દ્વારા અન્ય  જિલ્લા અને ગ્રામીણ વિસ્તારોમાં ફરીને લોકોને વ્યસન મુકત થવાનો સંદેશ આપવાનું સુંદર કાર્ય ગુજરાત ઠાકોર સમાજ કેળવણી ટ્રસ્ટે કર્યૂ છે તે અભિનંદનને પાત્ર છે. કોઇપણ સમાજનાં સંર્વાગી વિકાસ માટે ઉચ્ચ શિક્ષણ જ એક માત્ર વિકલ્પ છે ત્યારે ઠાકોર સમાજની પ્રગતિ માટે ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ વધશે તો સામાજીક બદીઓ અને કુરિવાજો આપોઆપ દૂર થઇ જશે. 
આ પ્રસંગે મહાકાળી વ્યસન મુકિત રથનાં આયોજક અને ગુજરાત ઠાકોર સમાજ કેળવણી ટ્રસ્ટના પ્રમુખ રોહિતજી ચંદુજી ઠાકોરે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે સંતો – મહંતો, ભારતી બાપુ, દોલતરામ બાપુ, દહેગામ નગર પાલિકાના પ્રમુખ સરલાબેન અમીન, ભા.જ.પ. જિલ્લા પ્રમુખ નૈલેષભાઇ શાહ સહિત વિશાળ સંખ્યામાં ઠાકોર સમાજનાં ભાઇ – બહેનો, મહાકાળી વ્યસન મુકિત રથનાં કાર્યક્રમમાં જોડાયા હતાં. 

Previous articleએક સમાન કર માળખા અંગેનો ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સનો ૧લી જૂલાઈથી અમલ કરાશે
Next articleસાતમાં પગાર પંચને લઇને બોર્ડ નિગમના અધિકારીઓનો વિરોધ