પેટ્રોલ-ડીઝલના ભડકે બળતા ભાવોને લઈને વલ્લભીપુર કોંગ્રેસે મામલતદારને આવેદન અપાયું

516

છેલ્લા 17 દિવસથી કેન્દ્ર સરકાર દ્વારા રોજ સવાર પડેને પેટ્રોલ-ડીઝલના ભાવમાં થોડા-થોડા પૈસાનો વધારો કરવામાં આવી રહ્યો છે. પાછલા 17 દિવસો દરમ્યાન પેટ્રોલ-ડીઝલની કિંમતમાં અનુક્રમે આઠ અને નવનો તોતિંગ વધારો ઝીંકવામાં આવતા સામાન્ય માણસને જીવન જીવવું દોહલું બની ગયું છે. આ ભાવ વધારાને લઈને આજે વલ્લભીપુર શહેર કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદન પાઠવવવામાં આવ્યું હતું. અનલોક 1.0 લાગુ થયા બાદ કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો ધીમે ધીમે શરૂ કરવામાં આવ્યો હતો. છેલ્લા 17 દિવસો દરમ્યાન પેટ્રોલ-ડીઝલમાં અનુક્રમે 8 અને 9નો વધારો કરવામાં આવતા લોકડાઉનનો માર સહન કરી ચુકેલી જનતા આ અસહ્ય ભાવ વધારાનો ડામ હવે સહી શકે એમ ન હોય કોંગ્રેસે રાજ્ય વ્યાપી આંદોલનના મંડાણ કર્યા છે. જેના ભાગ રૂપે આજે વલ્લભીપુર શહેર કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે આજે બુધવારે પેટ્રોલના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી પણ ડીઝલના ભાવમાં 48 પૈસાનો વધારો કરવામાં આવતા હાલ પેટ્રોલ કરતા ડીઝલ વધુ મોંઘુ બન્યું છે. આની સીધી અસર બસ ભાડા અને ટ્રાન્સપોર્ટેશન પર પડશે આથી મોંઘવારી સાતમા આસમાને પહોંચવાનો ભય સેવાઈ રહ્યો છે. અત્રે એ જણાવવું રહ્યું કે કેન્દ્ર સરકારના ભાવ વધારા ઉપરાંત ગુજરાત સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો ભાવ વધારો થોડા દિવસો પહેલા અલગથી કર્યો હતો ત્યારે હવે પ્રજાનો આક્રોશ પણ વધી રહ્યો છે.

રીપોર્ટ ધમૅન્દ્ર સિંહ સોલંકી વલભીપુર

Previous articleઘોઘા મામલતદારશ્રી ને તાલુકા કૉંગ્રેસ સમિતિ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું
Next articleહજીરાધાર ગામનાં સંગીતાબેન કાલીયાણી ની અમરેલી જીલ્લા મહિલા કોંગ્રેસ નાં ઉપ પ્રમુખ તરીકે નિમણુંક.