ગાંધીનગર ખાતે માનવ અધિકારને લગતા કેસોના નિકાલ કેમ્પ અને ઓપન હીયરીંગનો બે દિવસીય કાર્યક્રમ યોજાયો

1591
gandhi2842018-1.jpg

માનવ અધિકારોના રક્ષણ અને જતનમાં ગુજરાત સરકારે કરેલ કામગીરી સંતોષકારક છે. રાજ્ય સરકારે તમામ નાગરિકોને માનવ અધિકારો પ્રાપ્ત થાય અને અધિકારોનું હનન ન થાય તે માટે અનેકવિધ પગલાં ભર્યા છે. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની રચનાથી અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં કુલ ૧૭,૫૦,૦૦૦ માનવ અધિકાર ભંગ અરજીઓ આવી છે. જેમાં ગુજરાતમાંથી ૨૬,૫૦૦ અરજીઓ આવી છે, તેમ આજે પોલીસ અકાદમી, કરાઇ ખાતે માનવ અધિકાર કેસોના નિકાલ સંદર્ભે પત્રકાર પરિષદમાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના ચેરપર્સન એચ.એલ.દત્તુએ જણાવ્યું હતું. 
આયોગના ચેરપર્સન શ્રી દત્તુએ કહ્યું કે, માનવ અધિકારનું હનન થાય તહીં તે માટે આયોગ સતત કાર્યરત છે. સમાજના તમામને ન્યાય મળે તે આયોગની પ્રાથમિકતા છે. શહેરોની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારના લોકો પણ પોતાના મૂળભૂત અધિકારો પ્રત્યે સભાન બને તે મુદ્દે ભાર મુકતાં દત્તુએ કહ્યું કે, કેમ્પને ખુલ્લો મુકાયાના બીજા દિવસે આયોગની ચાર બેન્ચ દ્વારા ૧૩૬ કેસોની સુનાવણી કરવામાં આવી હતી. આ કેસ પૈકી ૬૩ કેસમાં સંતોષકારક કામગીરી થઇ હોવાથી કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો. જ્યારે ૪૦ કેસમાં વિસ્તૃત અહેવાલ માંગવામાં આવ્યા છે. 
આ ઉપરાંત ૫ કેસમાં અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ એક્ટનાં નિયમો અનુસાર રાહત મંજુર કરવામાં આવી છે. નાણાકીય રાહત રૂપે રૂ.૩.૨૫ લાખની ભલામણ કરવામાં આવી હતી અને રૂ.૪ લાખના પેમેન્ટ પુરાવા મળ્યા હતા. કેમ્પ દરમિયાન ૧૧ વર્ષની દુષ્કર્મ પીડિતાના પુનર્વસન, પેન્શનના લાભ શરુ કરવા જેવા કેસની સુનવણી કરવામાં આવી હતી. સબંધિત જિલ્લા કલેકટરશ્રીઓને તેમના જિલ્લામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને જાણ કરી સુનાવણી અંગેની માહિતી પહોંચાડવાની સૂચના આયોગ દ્વારા આપવામાં આવી હતી.
બીજા દિવસે બેન્ચ દ્વારા ૧૯ કેસોની સુનાવણી કરવામાં આવી હતી. આ કેસોમાં સાબરકાંઠા જિલ્લામાં એક અનુસુચિત જનજાતિના વ્યક્તિની હત્યા, સિવિલમાં મૃત્યુ અને જુનાગઢ જિલ્લામાં સ્કુલે જતા બાળકો માટે પૂલના નિર્માણ જેવા કેસોનો સમાવેશ થાય છે. આયોગ દ્વારા ત્રણ કેસમાં રૂ.૮ લાખની નાણાકીય રાહત ચુકવવાની ભલામણ કરવામાં આવી છે જ્યારે અન્ય કેસમાં ચુકવણી અંગેના પુરાવાઓ પ્રાપ્ત થયા છે તથા તેની ચુકવણીના આખરી તબક્કામાં છે.
માનવ અધિકાર અધિનિયમ,૧૯૯૩ અંતર્ગત રાષ્ટ્રીય માનવ અધિકારની રચના કરવામાં આવી છે. કે.બી સક્સેના દ્વારા સોંપવામાં આવેલા રીપોર્ટને ધ્યાનમાં લઈને રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ દ્વારા દેશના અલગ અલગ રાજ્યોમાં કેમ્પ યોજી અનુસુચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સાથે થઇ રહેલ અત્યાચારો સંદર્ભે સમીક્ષા કરવામાં આવી રહી છે.

Previous articleમનપામાં ત્રણ વર્ષ થઇ ગયા હોય તેવા રસ્તા રિ કાર્પેટ કરાશે
Next articleવાવડા અને નવાણીયા ખાતે સીસીરોડનું ખાતમુર્હુત કરાયું