લોકસભા ચૂંટણી : ગુજરાતના ૫૦% સાંસદોના પત્તા કપાશે, અડવાણી ગાંધીનગરથી નહિ લડે..!

5545

લોકસભાની ચૂંટણીઓને આડે એકાદ વર્ષની વાર છે તેમ છતાંય ભાજપે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતની લોકસભાની બેઠક દીઠ શુ વર્તમાન પરિસ્થિતી છે તેનુ એનાલિસિસ શરૂ કરી દેવાયુ છે. જોકે,ભાજપના નેતાઓ જ આ વાતને સ્વિકારી રહ્યાં છેકે, આ વખતે ભાજપને આંતરિક જૂથવાદ જ નહીં, એન્ટીઇન્કમ્બન્સી નડી શકે છે. આ કારણોસર ભાજપે અત્યારથી નબળી કહી શકાય તેવી દસેક બેઠકો પર ધ્યાન કેન્દ્રીત કરવા રણનીતિ ઘડી છે. આ વખતે લોકસભાની ચૂંટણીમાં ૨૬ બેઠકો જાળવવી ભાજપ માટે અઘરું છે.

કોંગ્રેસ માટે તો વકરો એટલો નફો જેવી સ્થિતી છે.ગુજરાતમાં આ વખતે ભાજપના નેતાઓના માથે ઠીકરું ફુટવાનુ નક્કી છે. બીજુ બાજુ,ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસિમાએ પહોંચ્યો છે. આ ઉપરાંત ખેડૂતો,દલિતો,પાટીદારો ભાજપથી મોં ફેરવીને બેઠા છે. મોંઘવારી સહિતના પ્રશ્નોથી આમજનતા ય ભાજપથી ખફા છે. આ સંજોગોમાં એન્ટીઇન્ક્‌મબન્સી પણ ભાજપ માટે રાજકીય મુસીબત ઉભી કરશે. સૂત્રો કહે છેકે, અમરેલી, સુરેન્દ્રનગર, આણંદ, બ.કાં, સા. કાં, જૂનાગઢ, મહેસાણા, ભરુચ, પાટણ, આણંદ બેઠકો પર આ વખતે ભાજપને જીતવી મુશ્કેલ છે. વિધાનસભાની બેઠકો જોતા આ બેઠકો પર કોંગ્રેસનું પલ્લુ ભારી છે. આ કારણોસર ભાજપને આ દસેક નબળી બેઠકો પર અત્યારથી જ ધ્યાન કેન્દ્રીય કરી અધિકારીઓને ય પ્રજાલક્ષી કામો ઝડપી કરવા સૂચનાઓ આપી છે. સાંસદો-ધારાસભ્યોને પોતાના જ મત વિસ્તારમાં રહીને લોકોના કામો કરવા જણાવાયુ છે. નેતા-કાર્યકરોને પણ ચૂંટણીના કામે લાગી જવા આદેશ છૂટયો છે. આ ઉપરાંત સંગઠનને ય સૂચના આપી દેવાઇ છેકે, આ બેઠકો પર પક્ષના કાર્યક્રમો વધુને વધુ યોજવા. આમ,લોકસભાની ૨૬ બેઠકો યથાવત રાખવા ભાજપે અત્યારથી જ કમર કસી છે. લાલકૃષ્ણ અડવાણી ગાંધીનગર બેઠક પર ચૂંટણી નહીં લડે છેલ્લા કેટલાંય વખતથી ભાજપના વયોવૃધ્ધ નેતા લાલકૃષ્ણ અડવાણીને ભાજપે જાણે હાંસિયામાં ધકેલી દીધા છે.ભાજપના આંતરિક સૂત્રો જણાવે છે કે, આ વખતે લાલકૃષ્ણ અડવાણી ગાંધીનગર બેઠક પર ચૂંટણી લડશે નહીં.આ વખતે અડવાણીના પુત્રીને ભાજપ મેદાનમાં ઉતારવા માંગે છે. નારાજ અડવાણીની સહાનુભૂતિ જીતવા ભાજપે આ રણનીતિ ઘડી છે.અડવાણી આ બેઠક પર ચૂંટણી લડવા માંગતા નથી જેથી તેમને મનાવવાનો ય પ્રયાસ થઇ રહ્યો છે.૫૦ ટકા ભાજપના સાંસદોના પત્તા કપાઇ જશે ભાજપના સાંસદોની કામગીરીથી મત વિસ્તારની જનતા નાખુશ છે તેવી વ્યાપક ફરિયાદો હાઇકમાન્ડ સુધી પહોંચી છે. ભાજપના આંતરિક સર્વેમાં ય આ વાત ખુલીને બહાર આવી છે. આ સંજોગોમાં આ વખતે ૫૦ ટકા સાંસદો રિપિટ નહી થાય.બલ્કે નવા ચહેરાને ભાજપ ચૂંટણી મેદાનમાં ઉતારશે. જોકે,ભાજપે અત્યારથી જ અંદરખાને નવા મૂરતિયાઓની શોધખોળ આદરી છે. સૂત્રો કહે છેકે,આંતરિક જૂથવાદ ઉપરાંત ધારાસભ્યોની અસંતોષની જવાળાને લીધે શક્ય થશે તો લોકસભાની ચૂંટણી વખતે વિસ્તરણ થઇ શકે છે. આ શક્યતાને પગલે દાવેદાર ગણાતા ધારાસભ્યોને વિસ્તરણનું ગાજર દેખાડીને અત્યારે ચૂંટણીના કામે લાગી જવા સૂચના આપી દેવાઇ છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleએલ.સી.બી. દ્વારા માનવસેવા કાર્ય