વિઠ્ઠલાપુર દલિત તરૂણને મારવાના અપરાધમાં બે આરોપીઓ ઝડપાયા

2256

વિઠ્ઠલાપુરના તરુણને માર મારી તેનો વિડીયો ઉતારી વાયરલ કરવાના ગુનામાં પોલીસે બે આરોપીઓની રાત્રે ૧.૩૦ કલાકે ધરપકડ કરી છે. ડીવાયેઅસપીએ બેચરાજી તાલુકાના એંદલા ગામના બે આરોપીઓ જયદીપ ઉર્ફે જયલો બનેસિંગ દરબાર અને ચેહરસંગ ઉર્ફે ભઈલો સોમસંગની ધરપકડ કરી હતી. અટકાયતમાં લેવાયેલા બંન્ને આરોપીઓની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. અન્ય બે ફરાર આરોપીઓ ભરતસિંહ ભીમસીંગ (એંદલા) અને કુબેરભા ઉદેસંગ (વિઠ્ઠલાપુર) ની ધરપકડ કરવા માટે પ્રયાસો શરૃ કર્યા છે.

અન્ય બે આરોપીઓની તાકીદે ધરપકડ અને ચાર્જશીટ થાય તેમજ ઝડપથી તેમને સજા થાય તે માટે રજૂઆત કરવા આવેલા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને મહેસાણા જિલ્લા પોલીસ વડાએ અન્ય બે આરોપીઓની ઝડપથી ધરપકડ કરવા ખાત્રી આપી હતી

મહેસાણાના એસપીને રજૂઆત કર્યા બાદ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આક્ષેપ કર્યો હતો કે ઉના અને સાપરની ઘટનાઓથી સરકારે કોઈ ધડો લીધો નથી. જેના કારણે દલિતો ઉપર હુમલા કરનાર તત્વો છાકટા અને બેખોફ બન્યા છે તેઓ માની રહ્યા છે. આપણું કોઈ બગાડી શકે તેમ નથી. બંધારણના આર્ટિકલ મુજબ જાતિવાદી માનસિકતા દૂર કરવા માટે સરકારે પગલાં લેવા જોઈએ તેમ જણાવી મેવાણીએ આક્ષેપ કર્યો હતો કે દલિતો ઉપર અત્યાચાર વધી રહ્યા છે અને મુખ્યમંત્રી પીડિતોના ઘેર જઈ સધિયારો આપવાનું ટાળી રહ્યા છે. તેમણે દલિતો ઉપર અત્યાચારના કેસ ચલાવવા સ્પેશિયલ કોર્ટ બને તેવી માંગણી કરી હતી. કે જેથી પીડિતોને ઝડપી ન્યાય મળે અને આરોપીઓને મહત્તમ સજા થાય.

વિઠ્ઠલાપુરકાંડમાં ભોગ બનનાર ફરિયાદીને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તરફથી રૃ.પ૦,૦૦૦ની સહાય ચુકવવામાં આવી છે. પીડિતને આર્થિક મદદરૃપે આ રકમ ચુકવવા તેના ઘેર મહેસાણાના કલેકટર, ડીવાયએસપી અને પ્રાન્ત અધિકારી રૃબરૃ ગયા હતા. ભયમુકત થવા માટે પીડિતના પરિવારજનોનું પોલીસ દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.

Previous articleપોસ્ટ ઓફિસને બેંક બનાવી પણ પોસ્ટ કચેરીની હાલત કંગાળ
Next articleદામનગર ખાતે સિ. સીટીઝન ટ્રસ્ટની આધારણ સભા યોજાઈ