હોળી-ધૂળેટીના ઉત્સવનું સમાજમાં મહત્વ

1122

ભારત દેશ તહેવારોનો દેશ છે. પ્રત્યેક સમાજમાં તહેવારો અને ઉત્સવો પરંપરાગત ચાલ્યા આવે છે અને પ્રત્યેક તહેવાર પાછળ કોઈ અર્થપુર્ણ દ્રષ્ટિ હોય છે. પરંતુ સમજણ પુર્વક આચરણ કરવામાં આવે તો વ્યક્તિ અને સમાજ બંને વિકાસને પંથે લઈ જાય. સંસ્કૃતિ ખીલે અને સમાજ સુવાસીત બને. હોળી ધૂળેટીનો તહેવાર પણ આ પ્રકારનો તહેવાર છે.

હોળીની રાત્રે આસુરી વૃત્તિને હોળીમાં ભડભડતી ચિતામાં હોમી દિધા પછી માણસ હળવો ફૂલ થઈ પાશ્વી ચગાલમાંથી મૂક્ત થયેલું જીવન જીવવા લાગે છે અને જીવનમાં ધૂળેટી ઉત્સવના રંગો ભરી જીવન આગળ ધપાવવા આગળ કદમ માંડવા થનગની રહેલું માણસનું મન મસ્તીમાં ઝુમે છે અને આનંદે હિલોળે નહિ તો શું કરે ! હોળીના દિવસે આસામાની રંગો અને ધરતીની ધૂળનું આ ઉત્સવમાં મિલન થવાથી નાના-મોટાના ભેદ ભૂલી મહેલ અને ઝુપડીના લોકો સંગઠીન થઈ ઉલ્લાસથી નાચવા લાગ્યાં. આ જ હોલીકાનું મહત્વ છે.

જીવનમાં અબીલ ગુલાલનો છંટકાવ કરી વાતાવરણમાં એકરૂપ બને છે. પોતાના જીવનમાં કામ, ક્રોધ, લોભ, અભિમાન, અહંકાર ઉપર ગુલાબી રંગ છાંટી તેને રંગી નાખે છે. ખરેખર વસંત ખિલવેલા કેસુડાના રંગથી જીવનને રંગીન કેસરીયું બનાવવું અને માનવી મનને હળવું ફુલ કરવું તે ખરા અર્થમાં ધૂળેટીનું મહત્વ છે.

પૌરાણિક વાતોમાં હિરણ્યકશિપુએ પોતાના દિકરાને કંઈક પ્રકારથી સજા કરી અને અંતે પોતાની બહેન હોલીકાને વરદાન હોવાથી તેના ખોળામાં બેસાડી તેને અગ્નિમાં બાળી નાખવા છેલ્લી સજા કરે છે. પરંતુ લોકોના હૃદયમાં સ્થાન પામેલા પ્રહલાદ માટે સર્વ લોકોએ અગ્નિ પ્રગટાવી, પ્રલાદને બચાવવા અગ્નિને પ્રાર્થના કરી જેનાથી હોલીકા બળી જાય છે અને પ્રહલાદ બચી જવાથી લોકો આનંદમાં આવી જાય છે. અને એકબીજા પર રંગોનો છંટકાવ કરે છે તો કોઈ ધૂળ ઉડાડે છે. બીજા પર ફેકે છે. આ આનંદ એ જ ધૂળેટીના દિવસ છે.

અસતવૃત્તિ પર સતવૃત્તિનો વિજય થાય છે. પ્રત્યેક માણસના મનમાં આસુરી વૃતતિની રાક્ષસી અને પાર્શ્વી વૃત્તિને સાથ આપનારી હોલીકા આજે પણ જીવતી જ છે, પરંતુ સદવિચાર, સદભાવના, દૈવીવૃત્તિ જેવા રંગો માણસના જીવનમાં હશે તો માણસ સો ટકા આ ઉત્સવ સારી રીતે ખેલી શકે અને માણી શકશે અને અસતવૃત્તિને તે નાથી શકશે જેનાથી માણસના જીવનમાં ઉમંગ, ઉલ્લાસ અન ભાવથી નાચી ઉઠે અને આનંદના હિલોળે ચડી ગુલાબી જીવન બનાવી જીવનનો ગુલાલ ઉડાડે તે ખરા અર્થમાં હોળી-ધૂળેટીનું હાર્દ છે.

પ્રહલાદે સમાજમાં રહેલા નાના-મોટા સૌમાં પ્રાણ પુરી સમર્થ બનાવ્યા. લોકોએ હોળીમાં કેવળ નકામી ચીજો કે કચરો જ નહીં પણ આપણા જીવનમાં રહીને આપણને પજવતા ખોટા વિચારો તેમજ મનના મેલ કચરાને પણ આજના દિવસે બાળવા જોઈએ. ટૂંકમાં હોળીનો ઉત્સવ જીવનને નવરંગી બનાવી આ વસંત ઉત્સવમાં માણસને સંયમની દિક્ષા આપી સંઘનિષ્ઠાનો મહિમા સમજાવે અને માનવ માનવ વચ્ચેનો સંબંધ સ્થાપિત કરે અને સમાજમાંથી અસદવૃત્તિને બાળવાનો સંદેશ આ તહેવાર સમજાવે છે. જેનાથી આપણુ રાષ્ટ્ર સુખી અને સમૃદ્ધ બનશે.

Previous articleખરી સંવેદના ઔષધિ બની વિપત્તિના સમયમાં પણ રક્ષણ આપી ગૌરવ આપે છે
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSBપરીક્ષાની તૈયારી માટે