ભાવનગર શહેર અને જિલ્લામાં ભયભંજન-સંકટહરણ હનુમાનજીની જન્મજયંતિ હર્ષોલ્લાસ ભેર ઉજવણી કરાઈ

57

ઝાંઝરીયા ધામ ખાતે અભૂતપૂર્વ માનવ મહેરામણ ઉમટી પડ્યું :શહેરના મધ્યમાં આવેલ ગોળીબાર હનુમાનજી મંદિરે વિશેષ શણગાર આરતી કરાઈ. મંદિરના પટાંગણમાં રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું
ભાવનગર શહેર અને જિલ્લામાં હનુમાનજીની જન્મજયંતિ નિમિતે હર્ષોલ્લાસ ભેર રીતે ઉજવણી કરવામાં આવી હતી. શહેર અને જિલ્લામાં આવેલા નાના-મોટા મંદિરોમાં વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો, જેમાં મંદિરોમાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.

ભાવનગર શહેરથી તદ્દન નજીકના અંતરે આવેલા અધેવાડા ગામ સ્થિત ઝાંઝરીયા હનુમાનજી મંદિર ખાતે પરંપરાગત રીતે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે ધ્વજા પૂજન સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આજના આ પાવન અવસરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હનુમાનજી મહારાજના દર્શન-પૂજન માટે ઉમટી પડયા હતાં.

ભાવનગરની મધ્યમાં આવેલ ગોળીબાર હનુમાનજી મંદિર ખાતે બિરાજમાન છે. જે આશેર 225 વર્ષ જૂનું ગોળીબાર હનુમાનજી મંદિરે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો અને બપોરે 12 કલાકે દાદાની આરતીનો દર્શન લાભ લીધો હતો, જે મંદિરમાં આજે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અધેવાડા ગામના પાદરમાં આવેલા ઐતિહાસિક મહત્વ ધરાવતા ઝાંઝરીયા હનુમાનજી ધામ લાખો આસ્થાળુઓનુ આગવું કેન્દ્ર બિંદુ છે જયાં દર શનિવારે મોટી સંખ્યામાં આસ્થાળુઓ દાદાના દર્શને આવે છે એવા આ ઝાંઝરીયા ધામ ખાતે મંદિરનાં પૂજારીગણ,તેમજ ઝાંઝરીયા હનુમાનજી મંદિર સેવક મંડળો અને અધેવાડા ગામ સમસ્ત દ્વારા ચૈત્રી સુદ પૂનમ-હનુમાન જયંતિ ની ઉજવણી કરવામાં આવે છે છેલ્લા બે વર્ષથી વૈશ્વિક મહામારીની બાધાને પગલે આ અવસરની ઉજવણી થઈ શકી ન હતી, પરંતુ હાલમાં મહામારીથી મુક્તિ મળી હોય આથી હનુમાન જયંતિ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. સવારે 5 કલાકે ધજા પૂજન બાદ દાદાની મહાપૂજા શણગાર મહા આરતી સાથે નૈવેદ્ય ધરવામાં આવ્યો હતો તથા આજના દિને ખાસ કેક તૈયાર કરાવવામાં આવી હતી જે મંદિરમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોની હાજરીમાં કાપી ઝાંઝરીયા દાદાના જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે આ કેકનું પ્રસાદી તરીકે વિતરણ કરવામાં આવ્યું હતું. સવારે 11 કલાકથી મહા પ્રસાદ વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. સુરક્ષા વ્યવસ્થા સાથે સમગ્ર સેવાનો મોરચો સેવક ગણ દ્વારા સંભાળવામાં આવ્યો હતો અને લોકો મોટી સંખ્યામાં દાદાના દર્શને આવ્યાં હતાં.

Previous articleભાવનગરના અલગ અલગ બે વિસ્તારમાં આગની ઘટના, પ્લાસ્ટિકનો જથ્થો તથા કરીયાણાની દુકાનનો સામાન બળીને ખાખ
Next articleભાવનગર ટર્મિનસ સહિત 68 સ્ટેશનો પર ‘વન સ્ટેશન વન પ્રોડક્ટ’ યોજનાનો સમયગાળો 8 મે સુધી લંબાવવામાં આવ્યો