ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગની પત્ની આરતી સહેવાગ ફ્રોડનો ભોગ બની છે. આરતીએ પોતાના બિઝનેસ પાર્ટનર વિરુદ્ધ એફઆઈઆર ઈઓડબલ્યુ સેલમાં કરી છે. આરોપ છે કે આરતીના બિઝનેસ પાર્ટનરે તેમની ખોટી સહી કરીને ૪.૫ કરોડ રૂપિયાની લોન લઈ લીધી અને પછી તે ચૂકવી નહીં.
આરતીએ આરોપ લગાવ્યો કે તે રોહિત કક્કર નામના એક વ્યક્તિની ફર્મમાં પાર્ટનર બની હતી. આ ફર્મ દિલ્હીના અશોકવિહાર ફર્મમાં આવેલી છે. આરતી સહેવાગે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે રોહિત સહિત લગભગ ૬ લોકોએ તેની સાથે ફ્રોડ આચર્યું. આ ફર્મના લોકોએ આરતી સહેવાગની જાણ બહાર એક અન્ય કંપનીને જણાવ્યું કે તેમની ફર્મ સાથે વિરેન્દ્ર સહેવાગ જેવા ફેમસ ક્રિકેટરની પત્ની જોડાયેલી છે.
આરતીના આરોપ મુજબ પતિ વિરેન્દ્ર સહેવાગના નામનો ઉપયોગ કરીને રોહિત કક્કર સહિત અન્ય પાર્ટનર્સે બીજી ફર્મ પાસેથી લગભગ સાડા ચાર કરોડ રૂપિયાની લોન લીધી. તેના માટે આરતી સહેવાગની ખોટી સહી પણ કરી નાખી. પાર્ટનર બનતી વખતે નક્કી થયું હતું કે તેમની મંજૂરી વગર કોઈ કામ થશે નહીં.
હાલ આરતી સહેવાગની ફરિયાદ પર પોલીસના ઈઓડબલ્યુ સેલે આરોપીઓ વિરુદ્ધ ૪૨૦ની કલમ હેઠલ ગુનો નોંધીને મામલાની તપાસ શરૂ કરી દીધી છે.