દુઃખનું મૂળ….

579

એકવાર એક દર્દી ડૉક્ટર પાસે ગયો. ડૉક્ટરને કહે, ‘મને આખા શરીરે દુઃખાવો થાય છે, દવા આપો.’ ડૉક્ટરે શરીર તપાસ્યું. શરીરમાં વિશેષ કોઈ બિમારી ન જણાતા શરીરમાં રાહત થાય તેવી દવા આપી. બે-ત્રણ દિવસ પસાર થતાં ફરી તે દર્દી દવાખાને આવી ચઢ્યો. અને પુનઃ તે જ સમસ્યાનો ટોપલો ઠાલવ્યો અને કહે, ‘મને આખા શરીરે અસહ્ય દુઃખાવો થાય છે, મને દવા આપો.’ ડૉક્ટરે જાણ્યું કે કોઈ રોગ નથી ને દુઃખાવો કેમ થાય છે? પછી ડૉક્ટરે પૂછ્યું, ‘વિગતવાર જણાવો કે કઈ કઈ જગ્યાએ દુઃખાવો થાય છે?’ દર્દીએ માથે હાથ અડાવીને ઉંહકારો કર્યો ને કહે, ‘માથું દુઃખે છે’, છાતી પર હાથ અડાવીને ઉંહકારો કર્યો ને કહે, ‘છાતી પણ દુઃખે છે’, ઢીંચણે હાથ અડાડી કહે, ‘ઢીંચણ પણ દુઃખે છે’, એમ વારાફરતી કમર, સાથળ, ખભા, ગરદન એમ બધે જ દબાવતો જાય અને ઉંહકારો કરતો જાય ને કહે, ‘બહુ દુઃખે છે.’ પછી ડૉક્ટરે ધ્યાનથી જોયું તો ખ્યાલ આવ્યો કે જે હાથે દર્દી પોતાના શરીરનો ભાગ દબાવતો હતો તે હાથની આંગળીનું ટેરવું પાક્યું હતું અને તેના કારણે જ દર્દીને દુઃખાવાનો અનુભવ થતો હતો.
આમ, દર્દીને માથામાં, ઢીંચણમાં, ખભામાં, છાતીમાં કે કમરમાં દુઃખાવો અનુભવાતો હતો તેનું કારણ હતું આંગળીનો દુઃખાવો. મૂળ પ્રશ્ન હતો તેની આંગળીના ટેરવામાં. તેવી જ રીતે આજે સુખની પાછળ દોટ મૂકતા માનવીને કેટલાય દુઃખોના ડુંગરો અડચણરૂપ બને છે. અને તે અડચણોને મુશ્કેલીઓને દૂર કરવા અનેક પ્રયત્નો કરે છે. છતાં સુખ તો નથી જ અનુભવતો. કારણ? દુઃખાવો જુદા અંગમાં અનુભવાય છે ને દવા બીજા અંગની કરે છે, તો ક્યાંથી દુઃખ દૂર થાય?

વચનામૃત : જીવનમાર્ગદર્શક – ૩૫

  • વિવેક કાપડિયા
Previous articleભવ્ય કાર્યક્રમ વચ્ચે ઉદ્ધવ ઠાકરેની મુખ્યપ્રધાન તરીકે અંતે તાજપોશી
Next articleપાલીતાણા ખાતે પોલીસ પરિવાર માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો