જેટ એરવેઝ બાદ હવે સરકારી એરલાઇન કંપની એર ઇન્ડિયાને પણ તાળા લાગે તેવા શંકાના વાદળો છવાયા છે. કંપની ઉપર હાલમાં ૯૦૦૦ કરોડ રૂપિયાનું દેવુ છે. જો આ આર્થિક કટોકટીની સ્થિતિમાં સરકાર દ્વારા મદદ નહીં કરાય તો કંપનીને જલ્દી તાળા લાગી શકે છે. જો કે આ માટેનો નિર્ણય હવે માત્ર જૂનમાં જ લેવાશે. જ્યારે નવી કેન્દ્ર સરકાર શપથગ્રહણ કરશે.
જો એર ઇન્ડિયાને સરકાર તરફથી કોઇ મદદ નહીં મળી તો તેની પણ જેટ એરવેઝ જેવી હાલત થઇ શકે છે. એર ઇન્ડિયા અને નાગર વિમાન મંત્રાલયે નાણાં મંત્રાલયને આ અંગેની સૂચના આપી છે. એર ઇન્ડિયાને આ વર્ષે પણ બેંક પાસેથી આર્થિક જરૂરિયાત છે પરંતુ તેની પાસે પર્યાપ્ત નાણાં ના હોવાથી તેની ફરી ચૂકવણી કરવી અશક્ય છે. આ સ્થિતિમાં લોનના હપ્તા પણ ડિફોલ્ટ થઇ શકે છે.
એર ઇન્ડિયા હાલમાં રોજ ૬ કરોડની ખોટ સહન કરી રહી છે. તેનું કારણ પુલવામાં હુમલા બાદ પાકિસ્તાનને તેનો હવાઇ માર્ગ બંધ કર્યો હતો. તેમાં યુરોપ અને અમેરિકાની ફ્લાઇટ્સને લાંબા અંતરની ઉડાન ભરવી પડતી હતી.
જો કે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે સરકાર પહેલેથી જ ૨૯ હજાર કરોડ રૂપિયાનું દેવુ તેમના પર લઇ ચૂકી છે. તે સિવાય તેમાં ૨૭૦૦ કરોડ રૂપિયાનું વ્યાજ પણ સામેલ છે. હવે સરકાર કોઇ પણ રીતે આર્થિક મદદ નહીં કરે. જો ભાજપની સરકાર બનશે તો તે ૧૦૦ ટકા હિસ્સો વેચી શકે છે.