કંસારા નાળા શુદ્ધીકરણ પ્રોજેક્ટના વિસ્થાપિતો દ્વારા રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

104

બે વર્ષ બાદ પણ પ્રશ્નનો ઉકેલ ન આવ્યો, ૧ હજાર મકાન તોડ્યે ૫ હજાર લોકો ઘર વિહોણા થશે
ભાવનગર શહેરમાં કંસારાના નાળા શુદ્ધી કરણ પ્રોઝેક્ટ અંતર્ગત કંસારાના કાંઠે વસતા પાંચ હજાર થી વધુ લોકો ના આવાસો ગેરકાયદેસર હોય અને આ પ્રોજેક્ટ માં બાધારૂપ બનતા હોય જેને તોડી પાડવા મહાનગરપાલિકા મક્કમ હોય ત્યારે આ વિસ્થાપિતો માટે વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી મકાનો ન તોડવાની માંગ સાથે કંસારાના વિસ્થાપિતો દ્વારા ફરી એકવાર રેલી યોજી કમિશ્નર ને આવેદનપત્ર આપ્યું હતું. ભાવનગર ઝુંપડા સંઘ (લાલ વાવટા) ના નેજા હેઠળ આજરોજ શહેરના કંસારાના કાંઠે વસતાં લોકો દ્વારા રેલી યોજી મહાનગરપાલિકા ના કમિશ્નર મૂકુલ ગાંધી ને આવેદનપત્ર પાઠવી એવા પ્રકારે રજૂઆત કરવામાં આવી હતી કે કંસારા શુદ્ધીકરણ અંતર્ગત આ કાર્યમાં બાધારૂપ ૧ હજાર જેટલા મકાનો માં પાંચ હજાર થી વધુ લોકો વસવાટ કરે છે દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા અનેક વાર ચુકાદાઓ આપવામાં આવ્યા છે કે વિસ્થાપિતો માટે રહેવાની વૈકલ્પિક વ્યવસ્થાઓ તંત્ર-સરકાર ન કરે ત્યાં સુધી તેઓના આવાસ તોડી શકાય નહીં પરંતુ ભાવનગર મહાનગરપાલિકા કંસારાના વિસ્થાપિતો ના મકાનો કોઈ પણ ભોગે તોડી લોકો ને બેઘર કરવાની મેલી મુરાદ ધરાવે છે. હાલમાં કંસારાના મુદ્દે હાઈકોર્ટમાં ચુકાદો પેન્ડિંગ છે ઉપરાંત ભાવનગર કોર્ટમાં પણ આ મુદ્દે હિયરીંગ ચાલી રહ્યું છે ત્યારે તંત્ર અને સત્તાધીશો લોકો ને રાતોરાત ઘરવિહોણા ન કરે એ માટે આજરોજ વિસ્થાપિતો લાલવાવટા ના અધ્યક્ષ અરૂણ મહેતાના વડપણ હેઠળ આવેદનપત્ર આપી રજૂઆત કરવા આવ્યાં હતાં આ એક આંદોલન છે અને આવતા બે દિવસ માં બંને ધારાસભ્યો ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવશે આમ છતાં પરીણામ નહીં આવે અને વિસ્થાપિતો માટે વ્યવસ્થા ગોઠવવામાં નહીં આવે તો પાંચ હજાર લોકો મહાનગરપાલિકા કચેરીમાં આશરો લેશે એવી ગર્ભીત ચીમકી પણ ઉચ્ચારી હતી.

Previous articleભાવનગર હેરીટેજ બાર્ટન લાઇબ્રેરીનાં 143માં સ્થાપના દિને ‘પુસ્તક યાત્રાનું ભવ્ય આયોજન’
Next articleઆયુષ અને મહિલા તથા બાળ વિકાસ રાજ્યમંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાએ ચુડા રેલ્વે સ્ટેશનથી પેસેન્જર સુવિધાઓનું ઉદ્‌ઘાટન કર્યું