પોતાની માંગોને લઇને વિવિધ રાજ્યોના ખેડૂતોએ એક વાર ફરી દિલ્હી તરફ કૂચ કરી છે. ખેડૂતો એક વાર ફરી બે માંગ લઇને પરત ફર્યા છે. તેમની પહેલી માંગ છે કે, તેમને તેમના દેવામાંથી છૂટ આપવામાં આવે અને બીજી માંગમાં તેમને તેમના પાકની દોઢ ગણી વધારે કિંમત જોઇએ છે. દિલ્હીમાં ૨૯ અને ૩૦ નવેમ્બરે યોજાનાર કિસાન મુકિત માર્ચ માટે સ્વરાજ ઇન્ડિયા સાથે જોડાયેલા લાખો ખેડૂતો દિલ્હીના બિજવાસન વિસ્તારમાં પહોંચી રહ્યા છે. ખેડૂતોના પ્રદર્શનમાં સામેલ થવા આવેલા તમિલનાડૂના ખેડૂતોના સમૂહે જણાવ્યું છે કે, જો તેમને શુક્રવારે સંસદ ભવનમાં જવા નહી દેવાય તો તેઓ નિર્વસ્ત્ર આંદોલન કરશે.
ખેડૂતોનો આ સમૂહ આત્મહત્યા કરી ચૂકેલા તેમના ખેડૂત ભાઇઓના કંકાલ લઇને વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા છે.
દેશભરમાંથી આવેલા ખેડૂતો ૨૯ નવેમ્બરે સવારે બિજવાસનથી ૨૬ કિમી પગપાળા રેલી યોજીને સાંજે પાંચ વાગ્યે સુધી રામલીલા મેદાન પહોંચશે અને ૩૦ નવેમ્બરે સવારે સંસદ ભવન તરફ કૂચ કરશે. ખેડૂતોના સમૂહના નેતા પી.એય્યાકન્નૂએ જણાવ્યું હતું કે, દક્ષિણ ભારતમાંથી લગભગ ૧૨૦૦ ખેડૂતો ગુરુવારે સવારે રામલીલા મેદાન અને શુક્રવારે સંસદ માર્ગ પર યોજાનારી રેલીમાં ભાગ લેશે. પી.એય્યાકન્નૂએ જણાવ્યું હતું કે, ખેડૂતોની મુખ્ય માંગ દેવામાફી, પાકની સારી કિંમત અને ખેડૂતોને દર મહિને પાંચ હજાર રૂપિયા પેન્શન છે.
દિલ્હી પોલીસ પ્રવક્તા મધુર શર્માએ જણાવ્યું હતું કે, રેલીને ધ્યાનમાં રાખીને સુરક્ષા અંગે ખ્યાસ ધ્યાન રખાયું છે. તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતો પાંચ અલગ અલગ રૂટથી રામલીલા મેદાન પર પહોંચશે. અમારી ધારણા પ્રમાણે ૧૦થી ૧૫ હજાર ખેડૂતો દિલ્હીમાં એકઠા થશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ૨૯ નવેમ્બરે રેલીની અનુમતિ આપવામાં આવી છે. અમને ખબર નથી કે, ખેડૂતો ૩૦ નવેમ્બરે રામલીલા જશે કે નહી.
સ્વરાજ ઇન્ડિયાના સંયોજક અને અખિલ ભારતીય ખેડૂત સંઘર્ષ સમિતિના સભ્ય યોગેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, સમ્મેલનના પહેલા દિવસે ખેડૂતોની હાલની સ્થિતિ અને સરકાર દ્વારા આપવામાં આવેલા વાયદાઓ અંગે ચર્ચા કરવામાં આવશે. ખેડૂતોની માંગોને પૂર્ણ કરવા માટે સરકાર પર દબાણ બનાવવા માટે વિવધ રાજકીય દળોના પ્રતિનિધિ પણ સમ્મેલનમાં ભાગ લેશે.