જમ્મુ કાશ્મીરમાં પુલવામા જિલ્લામાં આતંકવાદીઓએ આજે એક મોટા હુમલાને અંજામ આપ્યો હતો. ઉરી-૨ તરીકે કરવામાં આવેલા આ હુમલામાં સીઆરપીએફના ૪૦થી વધુ જવાનો શહીદ થઇ ગયા હતા અને મોટી સંખ્યામાં જવાનો ઘાયલ થયા હતા. ગુપ્તરીતે બીછાવવામાં આવેલી જાળ હેઠળ આ ભીષણ હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો જેમાં સીઆરપીએફના જવાનો ફસાયા હતા. શ્રીનગર-જમ્મુ હાઈવે ઉપર સ્થિત અવન્તીપોરા વિસ્તારમાં આ હુમલો થયો હતો. આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદે હુમલાની જવાબદારી સ્વીકારી લીધી છે. આદિલ અહેમદ દાર નામના આતંકવાદીએ સીઆરપીએફ કાફલા ઉપર હુમલા માટેની જવાબદારી સ્વીકારી છે અને કાવતરુ પણ રચ્યું હતું. આતંકવાદી દાર કાકાપોરા વિસ્તારોનો નિવાસી છે. વિસ્ફોટક સાથે ભરેલી એક ગાડીને લઇને જૈશના ત્રાસવાદી આદિલે સીઆરપીએફ જવાનોના કાફલાની બસમાં અથડાવી હતી. આ બનાવથી સમગ્ર દેશ હચમચી ઉઠ્યો છે અને લોકોમાં રોષ ફેલાયો છે.
હુમલા બાદ જવાનોએ પણ કાર્યવાહીના પ્રયાસ કર્યા હતા પરંતુ અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. કાફલાની જે બસને ત્રાસવાદીઓએ ટાર્ગેટ બનાવી હતી તેમાં ૩૯ જવાનો હતા.