વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઈન્ડિયા ગેટ પાસે ૪૦ એકરમાં બનાવવામાં આવેલા નેશનલ વોર મેમોરિયલ રાષ્ટ્રને સમર્પિત કર્યું. આ દરમિયાન મોદીએ કહ્યું હતું કે, મોદી રહે કે ન રહે, સૈન્યની શૌર્યગાથા યાદ રહેવી જોઈએ. વડાપ્રધાને કોંગ્રેસનું નામ લીધા વગર ગત સરકાર પર નિશાન સાધ્યું હતું. તેઓએ કહ્યું કે સૈનિકોની સાથે ગત સરકારે અન્ય કર્યો કેમકે તેમના માટે માત્ર એક પરિવાર પહેલો હતો.
નેશનલ વોર મેમોરિયલ તે જવાનો પ્રત્યે સન્માનનું સૂચક છે જેઓએ દેશની રક્ષા માટે પોતાનો જીવ ગુમાવ્યાં છે. મેમોરિયલ દેશની રક્ષા માટે શહીદ થયેલાં ૨૫ હજાર ૯૪૨ વીર જવાનોની યાદમાં બનાવવામાં આવ્યું છે. નેશનલ વોર મેમોરિયલ એવી રીતે બનાવવામાં આવ્યું છે કે, જેનાથી રાજપથ અને તેની ભવ્ય સંરચના સાથે કોઈ ચેડા ન થાય. જોકે આ સંપૂર્ણ મેમોરિયલ તૈયાર થતાં હજી અમુક વર્ષો લાગશે. આ મેમોરિયલ બનાવવા માટે પ્રાથમિક ખર્ચ રૂ. ૫૦૦ કરોડ અંદાજવામાં આવ્યો છે.
ભારતની સેના સૌથી તાકાતવર સેનાઓમાંની એક : PM
આ દરમિયાન મોદીએ કહ્યું કે, “આજે આપણી સેના વિશ્વની સૌથી તાકાતવર સેનાઓમાંથી એક છે. આપણાં સૈનિકોએ પહેલો વાર પોતાની ઉપર લીધો અને પડકારોનો જવાબ આપ્યો. જ્યારે લતા દીદીએ એ મેરે વરતન કે લોગો… નો સ્વર આપ્યો હતો ત્યારે દેશના કરોડો લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. હું પુલવામાના શહીદોને નમન કરું છું. નવું હિંદુસ્તાન, નવી નીતિ અને રીતિની સાથે આગળ વધી રહ્યું છે. જેમાં એક મોટું યોગદાન સૈનિકોના શોર્ય, અનુશાસન અને સમર્પણનું છે.”