એક સંસ્કૃત શ્લોક મુજબ ૭ વ્યક્તિ અત્યારે પણ જીવિત છે જેમાં પરશુરામનો સમાવેશ થાય છે. હવે જોઈએ ભગવાન શ્રી પરશુરામની કથા.
સૂર્યવંશના રાજા ગાધીની પુત્રી સત્યવતીના લગ્ન બ્રહ્માના પુત્ર ભૃગુ ઋષિ અને તેના પુત્ર રુચિક ઋષિ સાથે થયા હતા. સત્યવતિએ ભૃગુ ઋષિ પાસે તેમની માતાને ઉત્તમ પુત્ર થાય તેવા આશિર્વાદ માગ્યા હતા. એક વખત માતા સત્યવતી પોતાને પિયર જતા હતા ત્ત્યારે તેમણે સસરા ભૃગુ ઋષિને કહ્યું પિતાજી ! હું પિયર જાઉં છું માટે મારા માતુશ્રી માટે કંઈ સારો આશિર્વાદ રુપ એવો પ્રસાદ આપો, કે જેથી તેમને ઉત્તમ પુત્રની પ્રાપ્તિ થાય.
ભૃગુ ઋષિએ બે ચરૂ તૈયાર કરીને આપ્યા અને કહ્યું કે આ ચરૂ તારા માતુશ્રી માટે છે, અને આ બીજો તારા માટે છે. બન્ને પોતપોતાનો પ્રસાદ આ ચરુમાંથી ઋતુ સ્નાન પછી લેવાનું જણાવ્યું. સત્યવતી બંને ચરૂ લઈને પિયર ગયા. ત્યાં જઈને તેણે બન્ને ચરુ તેમની માતાને આપી અને બધી વાત કરી. બન્ને ચરૂ અલગ હોવાથી તેમની માતાને શઁકા ગઈ કે મારી પુત્રીના ચરુમા કાંઇક વિશિષ્ટતા હશે. એવો વિશિષ્ટ ચરુ મને તૉ ન જ આપે. એમ વિચારીને તેમણે બંને ચરુ અરસ પરસ બદલી નાખ્યા. પોતે દીકરીના ચરુનૉ પ્રસાદ લીધો અને પોતાનો ચરુ દીકરીને આપ્યો. માતા સત્યવતી સાસરે ગયા પછી ભૃગુ ઋષિ તૉ અંતર્યામી હતા તેથી બધું જાણી ગયા અને કહ્યું કે તારી માતાએ ચરુ બદલી નાખ્યા એ બહુ ખોટું કર્યું છે. તેનાં પરિણામે તારે ત્યાં જે સંતાન થશે તે જન્મે બ્રાહ્મણ હશે પણ કર્મે ક્ષત્રિય હશે. અને તારી માતાને જે પુત્ર થશે તે જન્મે ક્ષત્રિય હશે પણ તેનું કર્મ બ્રાહ્મણ જેવું હશે. સત્યવતીએ માફી માગી અને કહ્યું કે હવે એમણે ભુલ તૉ કરી છે પરન્તુ કંઈક ઍવા આશીર્વાદ આપો કે જેથી મારો પુત્ર થાય તેનુ કર્મ બ્રાહ્મણ જેવું થાય. મારા પુત્રનૉ પુત્ર ભલે એવો થાય કે તેનું કર્મ ક્ષત્રિય જેવું હોય. ત્યારે ભૂગુ ઋષિએ જણાવ્યું કે તારી માતા જે પુત્રને જન્મ આપશે તે જન્મે ક્ષત્રિય હશે પણ કર્મે બ્રાહ્મણ હશે.
ભૃગુ ઋષિએ ઍવા આશિર્વાદ આપ્યા પરિણામે ગાધી રાજાને ત્યાં વિશ્વામિત્ર નામે પુત્ર થયા અને રુચિક ઋષિને ત્યાં જમદગ્નિ નામે પુત્ર થયાં. જમદગ્નિ ઋષિના લગન દેવી રેણુકા સાથે થયાં અને તેમને ત્યાં જે પુત્ર થયા તે જ આપણાં આરાધ્ય દેવ શ્રીપરશુરામ.
આ પ્રમાણે ભગવાન પરશુરામ એ જમદગ્નિઋષિ અને રેણુકાના પુત્ર રુપે વૈશાખ સુદ ત્રીજ અક્ષય તૃતીયાના રોજ પ્રગટ થયા હતા. તેઓ વિષ્ણુના અવતાર છે અને હૈહવકુળનો નાશ કરનાર છે. તેમણે પૃથ્વીને એકવીસ વાર નિક્ષત્રિય કરી હતી.
પરશુરામનું જન્મસ્થળ મધ્યપ્રદેશમાં ઓમકારેશ્વર પાસે આવેલું માનવામા આવે છે. કહેવાય છે કે પરશુરામ અમર છે. ભગવાન પરશુરામ ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર છે. તેમનુ મૂળ નામ રામ હતું પરન્તુ ભગવાન શિવજીએ તેમના તપથી પ્રસન્ન થઈ શસ્ત્ર રૂપે ફરસી આપી હતી. તે ધારણ કર્યા પછી નામ પરશૂરામ થઈ ગયુ.
– કૌશિક વ્યાસ