જાતિ અને ધર્મથી મુક્ત થઇને સરકાર કામ કરશે : રાષ્ટ્રપતિ

379

રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે આજે સંસદના બંને ગૃહોને સંયુક્ત રીતે સંબોધન કર્યુ હતુ. જેમાં રાષ્ટ્રપતિએ મોદી સરકારની ભાવિ યોજનાનો ઉલ્લેખ કર્યો હતો. કોવિન્દે કહ્યુ હતુ કે મોદી સરકાર જાતિ અને ધર્મથી મુક્ત થઇને કામ કરશે. આ સરકાર ગરીબો, ખેડુતો અને જવાનોને સમર્પિત રહેશે. રાષ્ટ્રપતિએ કહ્યુ હતુ કે સ્વતંત્રતાના ૭૫ વર્ષ પૂર્ણ થવા સુધી દેશ નવી નવી સિદ્ધીઓને હાંસલ કરશે. પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિએ ત્રિપલ તલાક અને હલાલા જેવી કુપ્રથાનો અંત લાવવા માટે વિરોધ પક્ષોને સહકાર આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યુ હતુ કે દેશના લોકોને લાંબા સમય સુધી મુળભુત સુવિધા માટે ઇન્તજાર કરવાની ફરજ પડી છે. પરંતુ હવે સ્થિતી બદલાઇ રહી છે. લોકોની સુવિધા તરફ પૂર્ણ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. સરકાર કોઇના દબાણ સમક્ષ ક્યારેય કામ કરશે નહીં.રાષ્ટ્રપતિએ કહ્યુ હતુ કે સરકાર કેટલીક પ્રાથમિકતા પર કામ કરી રહીછે. જેમાં ખેડુતો અને દુકાનદારો પર ધ્યાન આપવા મક્કમ છે. સાથે સાથે દરેક ઘર સુધી પાણી પહોંચાડવા માટેની બાબતને આ વખતે સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા માટે તૈયાર છે. આના માટે જુદી જુદી યોજના તૈયાર કરવામાં આવી રહી છે. સરકારની સામે રહેલા પડકારોને મજબુત ઇચ્છાશક્તિ સાથે હાથ ધરવામાં આવનાર છે. ખેતીમાં ૨૫ લાખ કરોડનુ જંગી રોકાણ કરવાની પણ તેમણે જાહેરાત કરી હતી. જે દર્શાવે છે કે સરકાર કૃષિને લઇને ગંભીર છે.  સરકાર દબાણ, પ્રભાવ અને અભાવની સ્થિતિથી જનતાને મુક્ત કરવા માટે ઇચ્છુક છે. દુનિયાની ત્રણ સૌથી મોટી અર્થવ્યવસ્થામાં સામેલ થવાની પણ સરકારની યોજના રહેલી છે અને આ દિશામાં પહેલ કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, નવું ભારત ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરના એ આદર્શ ભારતની તરફ વધશે જ્યાં આત્મા સન્માન સાથે રહેશે. ભારતના આ માર્ગ ઉપર તમામ વ્યવસ્થાઓ પારદર્શી રહેશે. ઇમાનદાર લોકોની પ્રતિષ્ઠા વધશે. ખેડૂતો અને દુકાનદારો ઉપર ધ્યાન કેન્દ્રિત કરાશે. નાના દુકાનદારોની આર્થિક સુરક્ષા તરફ ધ્યાન આપવામાં આવશે. આના માટે અલગ પેન્શન યોજનાને મંજુરી આપવામાં આવી ચુકી છે.

આનો લાભ દેશના ત્રણ કરોડ નાના દુકાનદારોને મળશે. જળ સંકટ સૌથી મોટા પડકાર તરીકે છે. દરેક ઘર સુધી સ્વચ્છ જળ પહોંચાડવામાં આવશે. સિંચાઈ યોજના, સોઇલ હેલ્થકાર્ડ, યુરિયા નિમ કોટિન અને એમએસપી જેવા અનેક મહત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવી ચુક્યા છે. રાષ્ટ્રપતિએ સંઘ પરિવાર અને ભાજપના વિચારક દિનદયાળ ઉપાધ્યાયના અંત્યોદય હેઠળ ગરીબોના વિકાસની વાત કરી હતી. જનધન યોજના મારફતે દુનિયાના સૌથી મોટાપાયે નાગરિકોનો સમાવેશ આર્થિક નીતિઓમાં કરાઈ રહ્યો છે. દેશભરમાં બેંકિંગ સેવા વધુ સરળ કરવામાં આવી ચુકી છે. ૧૭મી લોકસભાનુ પ્રથમ સત્ર હાલમાં ચાલી રહ્યુ છે. આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે સંસદના બંને ગૃહોને સંબોધન કર્યુ હતુ. જેમાં કોવિન્દે સરકારની ભાવિ યોજના અંગે વાત કરી હતી. લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે ૧૭મી લોકસભાનુ પ્રથમ સત્ર શરૂ કરવામાં આવ્યુ છે.  હાલમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં મોદીની આંધી વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ બહુમતિ મેળવી હતી. ભારતીય જનતા પાર્ટીએ એકલા હાથે ૩૦૩ સીટો જીતી લીધી હતી. જ્યારે કોંગ્રેસ પાર્ટીને માત્ર ૫૨ સીટો મળી હતી. બજેટ સત્ર દરમિયાન લોકસભામાં પાંચમી જુલાઈના દિવસે નવા નાણાંમંત્રી નિર્મલા સીતારામન વર્ષ ૨૦૧૯-૨૦ માટેનું સંપૂર્ણ બજેટ રજુ કરશે. બીજી અવધિમાં મોદી સરકારનું આ પ્રથમ બજેટ રહેશે. સામાન્ય ચૂંટણીના અનુસંધાનમાં તત્કાલિન નાણામંત્રી પિયુષ ગોહિલ દ્વારા વર્તમાન નાણાકીય વર્ષ માટે વચગાળાનું બજેટ રજુ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રિય કેબિનેટની બેઠક હાલમાં યોજાઈ હતી. જેમાં ૧૭મી લોકસભાનું સત્ર ૧૭મી જુનથી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. લોકસભા સત્રના પ્રથમ બે દિવસ દરમિયાન નવા ચૂંટાયેલા સાંસદોની શપથવિધીમાં ચાલી હતી.જ્યારે ૧૯મી જુનના દિવસે લોકસભા અધ્યક્ષની ચૂંટણી થઇ હતી.. ચોથી જુલાઈના દિવસે આર્થિક સર્વે રજુ કરવામાં આવશે. જ્યારે ૨૦૧૯-૨૦ માટે કેન્દ્રિય બજેટ લોકસભામાં સવારે ૧૧ વાગ્યે રજુ કરવામાં આવશે. લોકસભાના પ્રથમ સત્ર દરમિયાન કુલ ૩૦ બેઠક યોજાશે. સરકારે ગઇકાલે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી.

Previous articleરાહુલ રાજીનામાને લઇને મક્કમ : ગેહલોત ફેવરિટ
Next articleઆનંદો…ગુજરાતમાં ૨૪ જૂનથી ચોમાસાનો વિધિવત પ્રારંભ થશે