પૂર્વોત્તરની સરહદ બાદ હવે ચીન સમુદ્રમાં ભારત વિરોધી અવળચંડાઈ પર ઉતર્યું છે. કેન્દ્રીય એજન્સીઓના જણાવ્યા પ્રમાણે ચીન અંદમાન અને નિકોબાર દ્વિપસમુહને અડીને આવેલી પૂર્વી સમુદ્રી સીમામાં ભારતની જાસૂસી કરી રહ્યું છે.
એજન્સીઓના જણાવ્યા પ્રમાણે ચીન આ પૂર્વી સમુદ્રી વિસ્તારમાં જાસૂસી માટે પોતાના સમુદ્રી જહાજો મોકલી રહ્યું છે. જેના દ્વારા ચીન ભારતની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું છે. ચીન હિંદ મહાસાગરમાં આવેલા ભારતીય નૌકાદળના તમામ બેઝની જાસૂસી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય વાયુસેના માટે આંદમાન અને નિકોબાર નેવલ બેઝ રણનૈતિક દ્રષ્ટિએ સૌથી મહત્વના છે.
ભારતની કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓના જણાવ્યા પ્રમાણે થોડા મહિના પહેલા જ ચીની નૌકાદળે હિંદ મહાસાગરમાં ભારતની જાસૂસી માટે તેના અત્યાધુનિક જાસૂસી સમુદ્રી જહાજ તિયાંગવાંગશિંગને તૈનાત કર્યું હતું. આ સમુદ્રી જહાંજ ભારતના સમુદ્રી ઈકોનોમિક ઝોન ઈઈઝેડમાં ઘુસી ગયું હતું અને થોડા દિવસો સુધી અહીં જ ધામા નાખીને રહ્યું પણ હતું.
ભારતીય અધિકારીઓના જણાવ્યા પ્રમાણે હવે એ જાણવાના પ્રયાસ થઈ રહ્યાં છે કે, આખરે તિયાંગવાંગશિંગ જહાજ તૈનાત કર્યા બાદ ભારતની જાસૂસી કરી કઈ કઈ માહિતી મેળવવામાં આવી છે. સાથે જ એ પણ જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે, આખરે તિયાંગવાંગશિંગને આ વિસ્તારમાં ઉતારવા પાછળ ચીનનો હેતુ શું હતું.