મધ્ય પ્રદેશમાં ઓક્સિજન ખૂટતાં ૧૨ દર્દીનાં મોત, હૉસ્પિ.નો ઇન્કાર

680

(સં. સ. સે.) ભોપાલ,તા.૨૦
મધ્ય પ્રદેશમાં ઑક્સીજનની અછતથી હાહાકાર મચી ગયો છે. અહીં દરરોજ કોઈને કોઈ જિલ્લામાં આ કારણે મોતના સમાચાર મળી રહ્યા છે. ઑક્સીજને પહલે શહડોલમાં ૧૨ લોકોનાં મોતનો મામલો ઠંડો નથી પડ્યો ત્યારે ભોપાલમાંથી આવા જ સમાચાર પ્રાપ્ત થયા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલની પીપલ્સ હૉસ્પિટલમાં ઑક્સીજનના અભાવે ૧૦-૧૨ દર્દીનાં મોત થયા છે. જે બાદમાં હાહાકાર મચી ગયો હતો. જોકે, હૉસ્પિટલના તંત્રએ આવું કંઈ બન્યાનો ઇન્કાર કર્યો છે. હૉસ્પિટલ મેનેજમેન્ટનું કહેવું છે કે, સવારે થોડા સમય સુધી ઑક્સીજન સપ્લાઈમાં અડચણ આવી હતી, પરંતુ તેનાથી કોઈનું મોત નથી થયું. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીપલ્સ હૉસ્પિટલમાં છેલ્લા ઘણા દિવસોથી દર્દીઓના સગાઓ ઑક્સીજનની અછત અંગે ફરિયાદ કરતા હતા. હૉસ્પિટલનો સ્ટાફ પહેલાથી જ આવું કહીને દર્દીઓને દાખલ કરતા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હૉસ્પિટલમાં ગત દિવસોમાં સાગર નિવાસી રમાકાંત તિવારીનું પણ નિધન થયું હતું. હૉસ્પિટલમાં પુરતા જથ્થામાં ઑક્સીજન ન હોવાથી સવારે અથવા મોડી રાત્રે ઑક્સીજન ખૂટી જતો હતો. કહેવામાં આવી રહ્યું છે કે પીપલ્સ કોવિડ હૉસ્પિટલમાં સોમવારે સવારે ઑક્સીજનનો પુરવઠો બાધિત થવાને પગલે ૧૦-૧૨ દર્દીનાં મોત થઈ ગયા હતા. બીજી તરફ હૉસ્પિટલે દાવો કર્યો છે કે વધારે તબીયત ખરાબ થવાને કારણે દર્દીનાં મોત થયા છે. ઓક્સૉજનનો પુરવઠો વધારે કે ઓછો રહેતો હોય છે. બે દિવસ પહેલા પણ શહડોલમાં ઑક્સીજનની અછતને પગલે ૧૨ કોવિડ દર્દીઓનાં મોત થયા હતા. આ ઘટના શહડોલ મેડિકલ કૉલેજમાં થયા હતા. આ ૧૨ મોતની પુષ્ટિ શહડોલના અપર કલેક્ટર અર્પિત વર્માએ કરી હતી.
પ્રાપ્ત વિગત પ્રમાણે, ઑક્સીજનનું દબાણ શનિવારે રાત્રે ૧૨ વાગ્યે અચાનક ઓછું થઈ ગયું હતું. જે બાદમાં દર્દીઓ તડપવા લાગ્યા હતા. પરિવારના લોકો માસ્ક દબાવીને તેમને રાહત આપી રહ્યા હતા, પરંતુ તમામ પ્રયાસો વ્યર્થ રહ્યા હતા. સવારે છ વાગ્યા સુધી પરિસ્થિતિ કાબૂમાં આવી ન હતી, અને ૧૨ લોકોનાં મોત થઈ ગયા હતા. જે બાદમાં આઇસીયૂમાં દાખલ આ દર્દીઓના પરિવારજનોમાં અફડાતફડી મચી ગઈ હતી. આ પહેલા ભોપાલ, સાગર, જબલપુર, ઉજ્જૈનમાં ઑક્સીજનની અછતને પગલે દર્દીઓનાં મોતના સમાચાર આવી ચૂક્યા છે.

Previous articleઆપણે દેશને લોકડાઉનથી બચાવવાનો છે : મોદી
Next articleમુખ્ય ચૂંટણી અધિકારી અને ઈલેક્શન કમિશ્નર પોઝિટિવ