સોનુ સુદે ૨૦ કરોડથી વધુની કરચોરી કર્યાનો ઈડીનો દાવો

175

કોરોના કાળમાં લોકોનો મસીહા બનેલો અભિનેતા ચર્ચામાં : ઈડીના દરોડા દરમિયાન સોનુ સૂદે ટેક્સ ચોરી કરી હોવાના કેટલાક પુરાવા મળી આવ્યા હોવાનો દાવો કરાયો
મુંબઈ, તા.૧૮
કોરોના કાળ દરમિયાન લોકોનો ’મસીહા’ બનેલો સોનુ સૂદ છેલ્લા થોડા દિવસથી ઈનકમ ટેક્સ વિભાગે તેના ઘરે પાડેલા દરોડાના કારણે ચર્ચામાં છે. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે મુંબઈમાં સોનુ સૂદની વિવિધ પ્રોપર્ટીઓ પર દરોડા પાડ્યા હતા. મીડિયા રિપોર્ટનું માનીએ તો દરોડા દરમિયાન સોનુ સૂદે ટેક્સ ચોરી કરી હોવાના કેટલાક પુરાવા મળી આવ્યા છે.
શરૂઆતની તપાસ બાદ ઈનકમ ટેક્સ વિભાગનું માનવું છે કે, એક્ટરે પોતાની આવકની મોટી રકમ બોગસ કંપનીઓ પાસેથી લીધેલી અનસિક્યોર્ડ લોન તરીકે દર્શાવી છે. ઈનકમ ટેક્સ વિભાગના દાવા પ્રમાણે, સોનુ સૂદે ૨૦ કરોડથી વધુની રકમની કર ચોરી કરી છે.મીડિયા રિપોર્ટ પ્રમાણે, ઈનકમ ટેક્સ વિભાગને માહિતી મળી હતી કે સોનુ સૂદ આવક અંગે જે માહિતી ઈનકમ ટેક્સ વિભાગને આપે છે તે શંકાસ્પદ છે. ત્યારબાદ સળંગ ત્રણ દિવસ સોનુ સૂદના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. સોનુ સૂદના નોન-પ્રોફિટ ઓર્ગેનાઈઝેશનને ૨.૧ કરોડ રૂપિયા ફંડ ભારતની બહાર રહેતાં લોકો દ્વારા મળ્યું છે, જે એફસીઆરએ (ફોરેન કન્ટ્રીબ્યૂશન (રેગ્યુલેશન) એક્ટ) નું ઉલ્લંઘન છે. ઈનકમ ટેક્સ વિભાગના દાવા પ્રમાણે, સોનુ સૂદે ચેરિટી સંસ્થાની સ્થાપના જુલાઈ ૨૦૨૦માં કરી હતી. એપ્રિલ ૨૦૨૧ સુધીમાં આ સંસ્થાને ૧૮ કરોડ રૂપિયાથી વધુનું દાન મળ્યું છે, જેમાંથી ૧.૯ કરોડ રૂપિયા રાહત કાર્ય માટે ખર્ચવામાં આવ્યા છે જ્યારે બાકીના ૧૭ કરોડ રૂપિયા સંસ્થાના બેંક અકાઉન્ટમાં જમા છે. ગત અઠવાડિયે સોનુ સૂદ અને તેની સાથે સંકળાયેલા લોકોના મુંબઈ, લખનૌ, કાનપુર, જયપુર, ગુરુગ્રામ અને દિલ્હીમાં આવેલા વિવિધ ઠેકાણે દરોડા પાડવામાં આવ્યા હતા. ઈનકમ ટેક્સ વિભાગના અધિકારીઓનું માનીએ તો, બોગસ લોનનો ઉપયોગ રોકાણો કરવા અને સંપત્તિ ખરીદવા માટે કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કર ચોરીનો જે આંકડો બહાર આવ્યો છે તે ૨૦ કરોડ રૂપિયાથી વધુનો છે. ઈનકમ ટેક્સ વિભાગના કહેવા અનુસાર, સોનુ સૂદે ૨૧ જુલાઈ ૨૦૨૦ના રોજ ચેરિટી ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. ૧ એપ્રિલ ૨૦૨૧ સુધીમાં ૧૮.૯૪ કરોડ રૂપિયાનું ડોનેશન મળ્યું છે અને તેમાંથી વિવિધ રાહત કાર્યો માટે ૧.૯ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. જ્યારે બાકીના ૧૭ કરોડ રૂપિયા ચેરિટી ફાઉન્ડેશનના બેંક અકાઉન્ટમાં વપરાયા વિના પડ્યા છે. ૨.૧ કરોડ રૂપિયા ક્રાઉડ ફંડિગ દ્વારા એકત્ર કરીને વિદેશમાં રહેતા લોકો દ્વારા આ સંસ્થાને આપાવામાં આવ્યા છે, જે એફસીઆરએના કાયદાનું ઉલ્લંઘન છે.
ઈનકમ ટેક્સ વિભાગે લખનૌના બિલ્ડરને ત્યાં પણ દરોડા પાડ્યા હતા. આ બિલ્ડર જોડે સોનુએ રોકાણ કર્યું હતું. આ બિલ્ડરે ૬૫ કરોડની રકમની બોગસ એન્ટ્રી દર્શાવી છે જ્યારે તેની પાસેથી અંદાજિત ૧૭૫ કરોડનું બિનહિસાબી નાણું મળી આવ્યું છે. સર્ચ ઓપરેશન અને તપાસ હજુ પણ ચાલુ છે.

Previous articleભારતના મિસાઈલ પરીક્ષણોથી ચીન અકળાયું
Next articleશહેર-જિલ્લામાથી ગણપતિ વિસર્જન માટે દરિયા કિનારે માનવ મહેરામણ ઉમટી પડ્યું