જળ સંચય કાર્યથી દુકાળ એ ભૂતકાળ બનશે : મુખ્યમંત્રી

1292

સુઝલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લાના ગારિયાધાર નજીક નાની વાવડી ખાતે ચેકડેમનું ખાતમુર્હૂત તેમજ ગારિયાધાર ખાતેના ટોલપાણ તળાવને ઉંડુ કરવાના કામનો શ્રમદાન કરીને મુખ્યમંત્રી રૂપાણીએ પ્રારંભ કરાવ્યો હતો.
નાની વાવડી ખાતે રૂ. ૮૪.૭૮ લાખના ખર્ચે તૈયાર થનાર ચેકડેમ તથા ગારીયાધાર ખાતે રૂ. ૪૮ લાખના ખર્ચે લોકભાગીદારીથી ઉંડા થનાર તળાવમાં શ્રમદાન કરતા વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતમાં હવે જળસંચયના આ કાર્યથી દુકાળ એ ભૂતકાળ બનશે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે સૌરાષ્ટ્રના લોકોને પાણીના એક એક ટીપા માટે વલખા મારતા જોયા છે ત્યારે ગુજરાતમાં પાણીના એક પણ ટીપાનો વ્યય ના થાય તેમજ ઉપયોગ કરેલા પાણીને ફરી રીસાયકલ કરી ઉપયોગમાં લેવાની નિતી બનાવી છે. જેમાં મ્યુનિસિપલ વિસ્તારોમાં આ રિસાયકલ કામગીરી ઝડપથી થાય તે માટે સમયબધ્ધ આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય મંત્રીએ જણાવ્યું કે ગુજરાતમાં દરિયાના ખારા પાણીને મીઠું પાણી કરવાની દિશામાં પણ રાજ્ય સરકાર ઝડપથી આગળ વધી રહી છે.
ભાવનગર જિલ્લામાં જળસંચયના આ ઇશ્વરીય કાર્યમાં તન-મન-ધનથી દાન આપનાર દાતાઓને અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે કાયદો-વ્વયસ્થા અને પાણીની વિશેષ તકેદારીથી ગુજરાતનો વિકાસ થયો છે જળસંચયના ઇશ્વરીય કામ માટે સૌને યથાશક્તિ યોગદાન-શ્રમદાન આપવા તેમણે ખાસ અપીલ કરી હતી. ગુજરાત પ્રદેશ ભાજપા પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે જળસંચયનું આ કામ સામાજિક સમરસતાનું સૌથી મોટું અભિયાન છે. તેમણે જળસંચયના સામાજિક કામમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરાયેલા આયોજનને બિરદાવ્યું હતું.
સૌરાષ્ટ્ર જળધારા ટ્રસ્ટના પ્રમુખ મથુરભાઇ સવાણીએ જણાવ્યું કે ભારતભરમાં જળસંચયનું મોટામાં મોટુ અભિયાન છે .
ભાવનગર જિલ્લામાં સુજલામ સુફલામ જળસંચય હેઠળ રૂા.૮.૦૪ કરોડના ૫૩૮ કામોનું આયોજન કરવામાં આવ્યું છે. ૨૦૬ તળાવો, ૧૭૮ ચેકડેમોના ડીસીલ્ટીંગ, ૧૮ જળાશયોના ડીસીલ્ટીંગના કામો લોકભાગીદારીથી હાથ ધરાયા છે ત્યારે છેલ્લા ૧૫ દિવસમાં ૨૨૬ કામોમાંથી ૧૨૬ પુરા કરવામાં આવ્યા છે.
ગારિયાધાર તાલુકામાં ૧૨.૧૪ લાખના ૧૯ કામો હાથ ધરાયા છે જેમાં ૧૩ પ્રગતિમાં છે. ગારિયાધાર નગરપાલિકા વિસ્તારના ૧૦૦ વીઘાના ટોલપાણ તળાવને રૂા.૪૨ લાખના ખર્ચે લોકભાગીદારીથી ઉંડું કરાશે, આ તળાવ ઉંડુ થવાથી ૧.૬૦ લાખ ઘનમીટર એટલે કે ૧૬ કરોડ પાણીનો જથ્થો સંગ્રહ કરી શકાશે.
જિલ્લા કલેકટર હષર્દભાઇ પટેલે સ્વાગત પ્રવચનમાં ભાવનગર જિલ્લાના જળસંચયના કામોની વિગતો આપી હતી.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવિયા, સાંસદ ભારતીબેન શિયાળ, રાજેશભાઇ ચુડાસમા, શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવે, ધારાસભ્ય કેશુભાઇ નાકરાણી, આર.સી. મકવાણા, ભીખાભાઇ બારૈયા, ભાવનગર પાલિકાના મેયર નીમુબેન બાભણિયા, ગારિયાધાર નગરપાલિકા અધ્યક્ષ નીતાબેન વાઘેલા , સૌરાષ્ટ્ર જળસંચય અભિયાનના અધ્યક્ષ ગોરધનભાઇ ઝડફિયા સહિત જળસંચના લોકભાગીદારીના દાતાઓ સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આયોજનમાં જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ , , જિલ્લા પોલીસવડા માલ , પ્રાંત્ત કચેરી અધિકારીઓ , મામલતદાર જોષી સાથે વહીવટી તંત્ર રહ્યુ હતું.

Previous articleસિહોર પાસે વાડીનાં હોજમાં ન્હાવા પડેલ ભાવનગરનાં યુવાનનું મોત
Next articleસ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ-સરકારી કંપનીઓના હોદ્દા IAS કેડર સમકક્ષ બન્યા