સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાંક ગામોને વર્ષ ૨૦૧૭ની અતિવૃષ્ટિ અને વર્ષ ૨૦૧૮ના દુષ્કાળના કારણે થયેલા પાક નુકસાનના વળતરની રકમ હજુ સુધી નહીં મળી હોવાનો આક્ષેપ કરતી ત્રણ જાહેર હિતની અરજીઓની સુનાવણીમાં રાજ્ય સરકારને ટકોર કરવામાં આવી છે કે પાક વીમા અંગે રાજ્યભરમાં સરકારે એકસરખી નીતિ રાખવી જોઈએ. સુરેન્દ્રનગરના અંકેવાડિયા, ગુજરવાડી અને હામપર ગામના ખેડૂતોની રજૂઆત છે કે બન્ને વર્ષોના પાક વીમાનું વળતર તેમને મળ્યું નથી અને જેમને વળતર મળ્યું છે તેમને યોગ્ય રકમ મળી નથી. રાજ્ય સરકારની રજૂઆત હતી કે તે વિસ્તારના પાકવીમાના વળતર અંગે આગામી દિવસોમાં જવાબ રજૂ કરાશે. જેના અનુસંધાને હાઇકોર્ટે ટકોર કરી હતી કે પાકવીમા વળતરની નીતિ રાજ્યના તમામ વિસ્તારોમાં એકસરખી હોવી જોઈએ.