બનાસકાંઠાના અમીરગઢ પોલીસના વાહન ચેકિંગ દરમ્યાન બ્લેક કલરની કારમાં આવી, પોલીસ પર ચેકિંગ દરમ્યાન ખાનગી ફાયરિંગની આ ઘટનામાં બે આરોપીઓને પોલીસે જેલ હવાલે કર્યા છે. કોર્ટે પણ અન્ય આરોપીઓની શોધખોળ માટે જડપાયેલ બંને આરોપીઓને આઠ દિવસની પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ આપ્યા છે. પોલીસ આ રિમાન્ડ આધારે પંજાબ તપાસ અર્થે જાય તે પહેલા ભાગેડુ પૈકીના ગુરુચેટક સિંહ ઉર્ફે ફોજી લખવીદરસિંહ શીખ રહે. વડાલા ગરઠિયા તાલુકો બટાલા જિલોં ગોરખપુર, પંજાબવાળાની લાશ અમીરગઢ ખેતરમાંથી મળી આવી છે. અમીરગઢ પોલીસ દ્વારા લાશનો કબજો સંભાળતાં આ લાશમાં જીવડાં પડી ગયા હોઈ લાશ ‘ડી કમ્પૉજ’ સ્થિતિમાં છે. જેથી માની શકાય કે મરણ જનાર ગુનો કરી ભાગી છૂટ્યા બાદ તુરંત મરણ ગયેલ હોઈ શકે જેથી બે દિવસમાં તેની બોડીમાં જીવડાં પડી ગયા હોય. જોકે સ્થાનિકોએ આ લાશ જોતા પોલીસને બોલાવતા પોલીસે લાશનો કબજો સંભાળી તેનું પીએમ કરવા તજવીજ હાથ ધરી છે.
જોકે આ લાશ મળતા અનેક સવાલો પણ ઊભા થયા છે કે, ગુનો કરી ભાગી છૂટેલા ફોજીનું તુરંત મોત કેવી રીતે થયું? રોડની નજીકના ખુલ્લા ખેતરમાં કેમ બે દિવસ સુધી કોઈએ લાશ જોઈ નહીં? શું આ લાશ અન્ય જગ્યાએથી અહીં લાવી ફેંકાઈ છે કે શું? શું છે મોત નું કારણ? શું બતાવે છે ગુના પહેલા અને ગુનો કરી ભાગી છૂટેલા આરોપી અને ફોજી એવા ગુરુચેટકસિંહનું છેલ્લા ત્રણ દિવસનું મોબઈલ લોકેશન? ફોજી ક્યાંથી આવતા હતા અને ગુજરાતમાં કોને મળવાના હતા? જેવા અનેકો સવાલ પણ અહીં ઊભા થતા હોઈ, અમીરગઢ પોલીસે મામલાની તપાસ હાથ ધરી છે.