આજુબાજુના ગ્રામજનોએ નદી કાંઠા વિસ્તારમાં અવર-જવર ન કરવા મામલતદારે પ્રતિબંધ ફરમાવ્યો
ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે ઉમરાળા તાલુકાના રંધોળા ગામ પાસે આવેલી રંઘોળી નદી ઉપરનો રંધોળા ડેમ ગુરુવારના રોજ 95 ટકા કરતા વધારે ભરાઈ ગયો છે. જેથી આ તાલુકાના આજુબાજુના ગામોના લોકોએ નદી કાંઠા વિસ્તારમાં ન જવા એલર્ટ જાહેર કરાયું છે.
રંધોળી નદીનો રંધોળા બંધ અત્યારે 95 ટકા ભરાઈ ગયો છે. જેથી જો પૂર્ણ સપાટીએ ભરાતા રૂલ લેવલ જાળવવા પાણી છોડવામાં આવે ત્યારે નદી કિનારાના ગામો જેવા કે, ચોગઠ, દેવળીયા, ડંભારીયા, ધારુકા, ઝાંઝમેર, લંગાળા, માલપર, પીપરાળી તથા રંઘોળાના ગ્રામજનોએ નદી કાંઠા વિસ્તારમાં અવર-જવર ન કરવા ઉમરાળા મામલતદાર દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો છે.ભાવનગરના અનેક જિલ્લામાં ભાદરવા માસમાં પણ અનરાધાર વરસાદ વરસ્યો છે. ભાવનગર જિલ્લાના ચાર તાલુકામાં અત્યાર સુધીમાં સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે. સમગ્ર જિલ્લામાં સૌથી વધુ ગારીયાધારમાં 130.42 ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે ભાવનગર, પાલીતાણા, ઉમરાળા, ઘોઘા અને મહુવામાં પણ 100 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે.