પીએફ વ્યાજ દરમાં ૪ દાયકાના તળિયે, ૮.૧૦% કરાયો

67

મોંઘવારીમાં પિસાતા નોકરિયાતોને વધુ એક ફટકો : ગુવાહાટીમાં મળેલી ઈપીએફઓની બોર્ડ મીટિંગમાં ટ્રેડ યુનિયનોના ભારે વિરોધ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો
નવી દિલ્હી, તા.૧૨
પડતાં પર પાટુંની જેમ મોંઘવારીની ચક્કીમાં પીસાતા નોકરિયાત વર્ગને હવે સરકારે મોટો ઝટકો આપ્યો છે. એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનના ૬ કરોડથી પણ વધુ ખાતાધારકોને વ્યાજની કમાણીમાં મોટો ફટકો પડ્યો છે. કારણ કે ઈપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઑફ ટ્રસ્ટીઝે ૨૦૨૧-૨૨ માટે પીએફ થાપણો પરના વ્યાજ દર તરીકે ૮.૧૦% મંજૂર કર્યા છે, જે વ્યાજ દર ચાર દાયકાથી વધુમાં સૌથી નીચો છે. ઈપીએફઓ એ ૧૯૭૭-૭૮માં તેના ખાતા ધારકોને ૮.૦% વ્યાજ આપ્યું હતું. ત્યાર બાદ હેમેશા તે ૮.૨૫% કે તેનાથી વધુ રહ્યું છે. જો વાત કરીએ ૨૦૧૯-૨૦ અને ૨૦૨૦-૨૧ની તો ઈપીએફઓએ ૮.૫૦% વ્યાજ ચૂકવ્યું હતું. જ્યારે ૨૦૧૮-૧૯માં ૮.૬૫%, ૨૦૧૭-૧૮માં ૮.૫૫%, ૨૦૧૬-૧૭માં ૮.૬૫% અને ૨૦૧૫-૧૬માં ૮.૮૦% જેટલું હતું.
ગુવાહાટીમાં શનિવારે મળેલી ઈપીએફઓની બોર્ડ મીટિંગમાં ટ્રેડ યુનિયનોના ભારે વિરોધ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ઈપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઑફ ટ્રસ્ટી અથવા સીબીટી એ ત્રિપક્ષીય સંસ્થા છે જેમાં સરકાર, કામદારો અને નોકરીદાતાઓના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે અને સીબીટીનો નિર્ણય ઈપીએફઓ માટે બંધનકર્તા છે. તેનું નેતૃત્વ શ્રમ મંત્રી કરે છે.
જો કે, નાણા મંત્રાલયે સીબીટી દ્વારા જાહેર કરાયેલા વ્યાજ દરને સૂચિત કરવામાં આવે તે પહેલાં તેની ચકાસણી કરવી પડે છે. એકવાર સરકારની મંજૂરી મળી જાય પછી વ્યાજની આવક પીએફ ખાતાધારકોના ખાતામાં જમા થાય છે. નાણા મંત્રાલય છેલ્લા કેટલાક સમયથી શ્રમ મંત્રાલયને પ્રોવિડન્ટ ડિપોઝિટ પર વ્યાજ દર ઘટાડવા અને તેને અન્ય નાની બચત યોજનાઓની સમકક્ષ લાવવા દબાણ કરી રહ્યું છે. ઈપીએફઓ નાણા મંત્રાલય દ્વારા સરકાર દ્વારા મંજૂર કર્યા પછી જ વ્યાજ દર પ્રદાન કરે છે. માર્ચ ૨૦૨૦માં ઈપીએફઓએ પ્રોવિડન્ટ ફંડ ડિપોઝિટ પરનો વ્યાજ દર ૨૦૧૮-૧૯ના ૮.૬૫ ટકાથી ઘટાડીને ૨૦૧૯-૨૦ માટે ૮.૫૦ ટકા કર્યો હતો. જે સાત વર્ષના નીચલા સ્તરે હતો. ૨૦૧૯-૨૦ માટે આપવામાં આવેલ ઈપીએફ વ્યાજ દર ૮.૫૦ ટકા ૨૦૧૨-૧૩ પછી સૌથી નીચો વ્યાજ દર હતો. ઈપીએફઓએ ૨૦૧૬-૧૭માં તેના સબસ્ક્રાઈબર્સને ૮.૬૫ ટકા અને ૨૦૧૭-૧૮માં ૮.૫૫ ટકા વ્યાજ દર આપ્યું હતું. ૨૦૧૫-૧૬માં વ્યાજ દર ૮.૮૦ ટકાથી થોડો વધારે હતો. તેણે ૨૦૧૩-૧૪ તેમજ ૨૦૧૪-૧૫માં ૮.૭૫ ટકા વ્યાજ આપ્યું હતું, જે ૨૦૧૨-૧૩ના ૮.૫ ટકા કરતાં વધુ હતું. જ્યારે ૨૦૧૧-૧૨માં વ્યાજ દર ૮.૨૫ ટકા હતો. પીએફની શરૂઆત ૧૯૫૨માં થઈ હતી. ૧૯૫૨ થી ૧૯૫૫ સુધી ૩% વ્યાજ આપવામાં આવ્યું છે. ૧૯૭૨માં પ્રથમ વખત વ્યાજ દર ૬% થી ઉપર પહોંચ્યો. તે ૧૯૮૪માં વ્યાજદર ૧૦%થી ઉપર પહોંચ્યું હતો. પીએફ ધારકો માટે શ્રેષ્ઠ સમય ૧૯૮૯થી ૧૯૯૯નો હતો. આ દરમિયાન પીએફ પર ૧૨% વ્યાજ મળતું હતું. તે પછી વ્યાજ દર ઘટવા લાગ્યા અને ૧૯૯૯ પછી વ્યાજ દર ક્યારેય ૧૦%ની નજીક પહોંચ્યા નથી.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleજમ્મુ-કાશ્મીરમાં સેનાએ ૪૮ કલાકમાં ૭ આતંકીને ઠાર કર્યા