શિરડીના સાઈબાબાએ સમાધિ લીધાને ૧૦૦ વર્ષ પરિપૂર્ણ થતાં આજે શિરડીમાં એક મોટા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પણ ઉપસ્થિત રહ્યા હતા. મોદીએ વડાપ્રધાન તરીકે સાઈબાબાની પ્રથમ વખત પૂજા કરી હતી. આ ગાળા દરમિયાન તેમની સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ અને રાજ્યપાલ વિદ્યાસાગર રાવ પણ ઉપસ્થિત રહ્યા હતા. મોદીએ વિઝિટર બુકમાં ત્યારબાદ પોતાના અભિપ્રાય પણ વ્યક્ત કર્યા હતા.
મોદીએ સાઈ મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ નવા ભવન, ૧૫૯ કરોડ રૂપિયાના ખર્ચ સાથે વિશાળ શૈક્ષણિક ભવન, પ્લેનેટોરિયમ, વેક્સ મ્યુઝિયમ, સાઈ ઉદ્યાન અને થીમ પાર્ક સહિત અન્ય અનેક યોજનાઓના લોકાર્પણની સાથે સાથે ભૂમિ પૂજનની વિધિમાં હાજરી આપી હતી. મોદીએ સાઈબાબાએ જે જગ્યાએ સમાધિ લીધી હતી તેને લઇને પણ ઉત્સુકતા દર્શાવી હતી. શિરડીમાં મોદી પહોંચ્યા તે પહેલા મંદિર અને મંદિરની આસપાસના વિસ્તારોમાં મજબૂત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશને લઇને પહેલાથી વિખવાદ છે. સાઇધામ પહોંચીને તમામ લોકોને જનસેવાની પ્રેરણા મળે છે તેવા અભિપ્રાય મોદીએ વ્યક્ત કર્યા હતા. મોદીનો કાફલો પહોંચે તે પહેલા જ તમામ પ્રકારનું આયોજન કરી લેવામાં આવ્યું હતું. સાઈબાબા ટ્રસ્ટ તરફથી પણ આયોજન કરવામાં આવ્યું હતું. તમામ સમુદાયના પૂજનીય સાઇ બાબાનું ૧૯૧૮માં દશેરાના દિવસે જ અહેમદનગર જિલ્લાના શિરડીમાં અવસાન થયું હતું. તેમની સમાધિની શતાબ્દી પર ન્યાસ દ્વારા સમગ્ર વર્ષે ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે એક ઓક્ટોબર ૨૦૧૭ના દિવસે શતાબ્દી મહોત્સવની શરૂઆત કરાવી હતી. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ડિસેમ્બર ૨૦૧૭માં સાઈ મંદિર સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદથી નાના મોટા ઉત્સવનું આયોજન ચાલી રહ્યું હતું. કાર્યક્રમોમાં હજુ સુધી દેશ વિદેશમાંથી એક કરોડથી પણ વધુ લોકો હિસ્સો લઇ ચુક્યા છે. ભારે ઉત્સાહ હાલ જોવા મળ્યો છે. મોદીએ ચાંદીના સિક્કા પણ જારી કર્યા હતા.